દિલ્હી : ભારત અને ઈરાન વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોમાં એક મોટો વળાંક આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત ઈરાનના ચાબહાર બંદર(Chabahar Port)માં પોતાની હિસ્સેદારી ઈરાનની જ એક સ્થાનિક કંપનીને વેચવાની તૈયારી કરી રહ્યું છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ અમેરિકા દ્વારા ઈરાન પર લાદવામાં આવેલા આકરા પ્રતિબંધો છે. ભારતની આ કામગીરીને મળેલી છૂટની મુદત 26 એપ્રિલ 2026ના રોજ પૂર્ણ થઈ રહી છે, જેને ધ્યાનમાં રાખીને ભારત સરકાર 'ઈન્ડિયા પોર્ટ્સ ગ્લોબલ ચાબહાર ફ્રી ઝોન'(IPGCFZ)માં પોતાની હિસ્સેદારી ઈરાની કંપનીને ટ્રાન્સફર કરવાનો પ્રસ્તાવ તૈયાર કરી રહી છે.અમેરિકાએ 2018માં ઈરાન પર પ્રતિબંધો લગાવ્યા હતા, પરંતુ ભારતને ચાબહાર પ્રોજેક્ટ માટે વિશેષ છૂટ આપી હતી.
જોકે, ફેબ્રુઆરી 2025માં અમેરિકાએ આ છૂટછાટોમાં ફેરફાર કે રદ કરવાનો સંકેત આપ્યો હતો. જો આ છૂટ આગળ ન વધે તો ભારતની વૈશ્વિક બંદર સંચાલન યોજનાઓને મોટું નુકસાન થઈ શકે છે. આથી, ભારત એવી વ્યવસ્થા પર વિચાર કરી રહ્યું છે કે જ્યાં સુધી અમેરિકન પ્રતિબંધો અમલમાં છે ત્યાં સુધી એક સ્થાનિક ઈરાની કંપની સંચાલન સંભાળશે અને પ્રતિબંધો હટ્યા બાદ આ હિસ્સો ફરી ભારતને પરત સોંપવાની ગેરંટી આપવામાં આવશે.
Reporter: admin







