દિલ્હી : રાજ્યસભામાં રાઘવ ચઢ્ઢા સહિત સાત સાંસદો ભાજપમાં જોડાતા આપને મોટો ફટકો પડયો છે અને પંજાબના રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે.
આપ હજુ તો આ આંચકો સહન કરી શકે તે પહેલાં જ હવે પંજાબમાં આપના ૨૮ અને દિલ્હીમાં ૨૨ ધારાસભ્યો પક્ષ છોડીને ભાજપમાં જોડાય તેવી અટકળોએ જોર પકડયું છે. બીજીબાજુ આમ આદમી પાર્ટીએ સાત સાંસદોને અયોગ્ય જાહેર કરવા રાજ્યસભાના અધ્યક્ષને પત્ર લખ્યો છે. આ વિવાદ વચ્ચે આપ છોડનાર સ્વાતિ માલિવાલે કેજરીવાલના સંરક્ષણમાં આપમાં ભ્રષ્ટાચર વધ્યો હોવાનો આક્ષેપ કર્યો છે.પંજાબમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે આ પહેલાં જ પંજાબ આપમાં ભારે રાજકીય ભૂકંપ સર્જાયો છે. રાજ્યસભામાં પંજાબના છ સાંસદોએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું અને ભાજપમાં જોડાઈ ગયા છે. આવા સમયે આપ હરિયાણાના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ નવીન જયહિંદે દાવો કર્યો છે કે આગામી દિવસોમાં પંજાબના અંદાજે ૨૮ ધારાસભ્યો પણ આપ છોડી શકે છે. તેમણે કહ્યું કે, પંજાબમાં પક્ષની અંદર ભારે અસંતોષ છે.
જયહિંદે કહ્યું કે, પંજાબ આપના જે સાંસદો પક્ષ છોડીને ગયા છે તેમાંથી અનેકની સાથે અગાઉ દુર્વ્યવહાર થયું હતું. કોઈની સાથે મારપીટ થઈ અને દબાણ બનાવાયું હતું. આ સમગ્ર ઘટનાક્રમ પાછળ પક્ષની અંદર ગંભીર ખેંચતાણ ચાલી રહી છે. પંજાબ આપમાં ભંગાણના અહેવાલો વચ્ચે પંજાબ પ્રભારી મનીષ સિસોદિયા ગુજરાતથી પાછા ફરવાની સાથે એરપોર્ટથી સીધા જ કેજરીવાલને મળવા પહોંચ્યા હતા. સિસોદીયા પંજાબના મંત્રી ડો. બલવીર સિંહને પણ દિલ્હીમાં મળ્યા હતા. બલવીર સિંહે દાવો કર્યો કે, ભાજપ પંજાબમાં ઓપરેશન લોટસ ચલાવી રહ્યો છે.
Reporter: admin







