વડોદરા શહેર આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને રાજકીય અને સામાજિક ઉત્સાહથી છલકાઈ રહ્યું છે.

શહેરભરમાં તંત્ર દ્વારા ભવ્ય તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. સરદારધામના લોકાર્પણ અને વિશાળ જનસભામાં મોટી સંખ્યામાં લોકો જોડાય તે માટે નવલખી મેદાન ખાતે 100થી વધુ ST બસોની ફાળવણી કરવામાં આવી છે. માહિતી મુજબ, શહેરના વિવિધ વોર્ડમાંથી લોકોને કાર્યક્રમ સ્થળે પહોંચાડવા માટે અલગ-અલગ બસોની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે, જેથી નાગરિકોને અવરજવર દરમિયાન મુશ્કેલી ન પડે. પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ યોજાઈ રહેલો આ કાર્યક્રમ રાજકીય રીતે પણ ખાસ મહત્વ ધરાવે છે.

સાંજે ગદા સર્કલથી જૂના એરપોર્ટ સુધી યોજાનારા વડાપ્રધાનના રોડ-શોને લઈને શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. રોડ-શોના રૂટ પર પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા તેમજ ટ્રાફિક વ્યવસ્થાનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.સરદારધામ ખાતે યોજાનારી વિશાળ સભા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. બસ મારફતે આવતા નાગરિકો માટે ફૂડ પેકેટની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પેકેટમાં થેપલા, ગાંઠિયા, ભૂસુ, પીવાનું પાણી અને લીંબુ શરબત જેવી વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.આ સમગ્ર આયોજનમાં કોર્પોરેશનના ફૂડ વિભાગ, અર્બન હેલ્થ સેન્ટરના કર્મચારીઓ તેમજ મેકેનિકલ વિભાગના અધિકારીઓ સતત કામગીરીમાં જોડાયેલા છે. વડાપ્રધાન મોદીના આગમનને લઈને શહેરમાં રાજકીય ગરમાવો અને જનઉત્સાહ બંને ચરમસીમાએ પહોંચ્યા છે.

Reporter: admin







