News Portal...

Breaking News :

પદ્માકર શંકરરાવ પાનવલકરનું દેહદાન : પરિવાર દ્વારા માનવસેવાનો પ્રેરણાદાયી નિર્ણય

2026-05-15 17:10:48
પદ્માકર શંકરરાવ પાનવલકરનું દેહદાન : પરિવાર દ્વારા માનવસેવાનો પ્રેરણાદાયી નિર્ણય


વડોદરા શહેરમાં માનવતા અને સામાજિક જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા સ્વ. પદ્માકર શંકરરાવ પાનવલકરના પરિવારે તેમના અવસાન બાદ પાર્થિવ દેહનું મેડિકલ અભ્યાસ માટે દાન કર્યું છે. 

પરિવારે દુઃખની ઘડીમાં પણ મક્કમ રહીને સ્વર્ગસ્થ પિતાની અંતિમ ઇચ્છા પૂર્ણ કરી માનવસેવાનો અનોખો સંદેશ આપ્યો છે.મૃતકના પુત્રએ મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, વર્ષ 2016માં તેમના માતા અને પિતા બંનેએ સ્વેચ્છાએ દેહદાન માટે સંમતિપત્ર ભર્યા હતા. પરિવાર અગાઉથી જ દેહદાન પ્રક્રિયા અંગે માહિતગાર હતો. બે વર્ષ અગાઉ માતાના અવસાન સમયે પણ તેમનો દેહ મેડિકલ કોલેજને અભ્યાસ અને સંશોધન માટે અર્પણ કરવામાં આવ્યો હતો.

ગઈકાલે રાત્રે સ્વ. પદ્માકર શંકરરાવ પાનવલકરનું અવસાન થતાં પરિવારજનોએ તેમની ઈચ્છાનું સન્માન કરી આજે વિધિવત રીતે દેહદાન કર્યું હતું. મેડિકલના વિદ્યાર્થીઓને માનવ શરીરની રચના અને તબીબી અભ્યાસમાં સહાય મળે તે હેતુસર લેવામાં આવેલો આ નિર્ણય અનેક લોકો માટે પ્રેરણાસ્ત્રોત બન્યો છે.દુઃખની ક્ષણોમાં પણ રૂઢિચુસ્ત માન્યતાઓથી ઉપર ઊઠીને સમાજહિત માટે લેવામાં આવેલા આ પગલાંને સ્થાનિકો અને સામાજિક આગેવાનો દ્વારા બિરદાવવામાં આવ્યું છે.

Reporter: admin

Related Post