ક્રિસ્ટિયાનો રોનાલ્ડોથી લઈને બોલિવૂડ સ્ટાર્સ સુધી અસર; સોશિયલ મીડિયા પર ચર્ચાનો માહોલ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Instagram પર અચાનક અનેક મોટી સેલિબ્રિટીઝના ફોલોઅર્સમાં ભારે ઘટાડો નોંધાતા ચાહકોમાં ચકચાર મચી ગઈ છે. ક્રિકેટર વિરાટ કોહલી, અભિનેત્રી આલિયા ભટ્ટ, પ્રિયંકા ચોપરા તેમજ ફૂટબોલ સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સહિત અનેક જાણીતા ચહેરાઓના લાખો ફોલોઅર્સ એક જ રાતમાં ઓછા થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. આ અચાનક ઘટાડાને લઈને શરૂઆતમાં સોશિયલ મીડિયા યુઝર્સમાં ગ્લિચ અથવા ટેક્નિકલ ખામીની ચર્ચા શરૂ થઈ હતી, પરંતુ બાદમાં જાણવા મળ્યું કે Instagramની પેરેન્ટ કંપની Meta દ્વારા ચલાવવામાં આવેલી “ઓથેન્ટિસિટી ડ્રાઈવ”ના કારણે આ અસર જોવા મળી છે.
મેટા દ્વારા પ્લેટફોર્મ પરથી ફેક, ઇનએક્ટિવ અને બોટ એકાઉન્ટ્સને મોટા પાયે દૂર કરવામાં આવ્યા છે. જેના પરિણામે અનેક સેલિબ્રિટીઝના એકાઉન્ટમાંથી લાખો ફોલોઅર્સ ઘટી ગયા છે. કંપનીનો ઉદ્દેશ પ્લેટફોર્મને વધુ પારદર્શક અને વિશ્વસનીય બનાવવાનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા વિશ્લેષકોના મતે ઘણા સેલિબ્રિટીઝના ફોલોઅર્સમાં બોટ અથવા નિષ્ક્રિય એકાઉન્ટ્સનો મોટો હિસ્સો હોય છે. આવી એકાઉન્ટ્સ દૂર થતાં વાસ્તવિક ફોલોઅર્સની સંખ્યા સામે આવી રહી છે.Instagram પર આ ઘટનાને લઈને યુઝર્સમાં ભારે ચર્ચા ચાલી રહી છે. કેટલાક લોકોએ તેને “સોશિયલ મીડિયા ક્લીનઅપ” ગણાવ્યો છે, જ્યારે કેટલાકે સેલિબ્રિટીઝની લોકપ્રિયતા અંગે પણ સવાલો ઉઠાવ્યા છે. જોકે, Meta તરફથી આ અભિયાન અંગે સત્તાવાર રીતે કોઈ વિશેષ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.
Reporter: admin







