અમદાવાદ: શહેરના જુહાપુરા વિસ્તારમાં સોશિયલ મીડિયા પર મુકેલી એક સ્ટોરી લોહીયાળ સાબિત થઈ છે.
જૂની અદાવત અને ઈન્સ્ટાગ્રામ પોસ્ટના વિવાદમાં 19 વર્ષીય મોહમ્મદ સાલીક નામના યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. આ મામલે વેજલપુર પોલીસે મુખ્ય આરોપી સહિત અન્ય સાગરિતોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.જુહાપુરાના જુવેરિયા ફ્લેટમાં રહેતા 19 વર્ષીય મોહમ્મદ સાલીક શેખને ગત રમઝાનમાં અજીમ પાર્ક નજીક રહેતા રેહાન પઠાણ સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ વિવાદ બાદ મોહમ્મદ સાલીકે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી અપલોડ કરી હતી. આ સોશિયલ મીડિયા પોસ્ટને લઈને આરોપીઓ ઉશ્કેરાયા હતા અને મનમાં અદાવત રાખી હતી.
ગઈકાલે જ્યારે મોહમ્મદ સાલીક તેના મિત્રો સાથે આઈશા મસ્જિદ પાસે રેહાન અને તેના સાગરિતોને મળવા ગયો, ત્યારે ફરીથી બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વાત વણસતા આરોપી રેહાન પઠાણે ઉશ્કેરાઈને પોતાની પાસે રહેલી છરી વડે મોહમદસાલીકના પેટના ભાગે જીવલેણ ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
Reporter: admin







