રાજકારણ સત્તા નહીં સેવા છે" ચૂંટણી પ્રચારમાં દાદાએ,નેતાઓ અને કાર્યકરોની પાઠશાળા ચલાવવી પડી.
જનતા ગુસ્સે, કાર્યકરો હતાશ: સીએમ ભૂપેન્દ્ર પટેલે આપી કડક શીખ.
બુમાબુમ વચ્ચે પણ શાંતિ રાખો, જનતાને સાંભળો — સત્તા નહીં, સેવા છે રાજકારણ.
વડોદરામાં વિરોધના માહોલ વચ્ચે મુખ્યમંત્રીનો સંદેશ: ભૂલો સુધારો, લોકોની વચ્ચે રહો નહીં તો જનતા જવાબ આપશે.
સીએમ ભૂપેન્દ્ર પટેલની કાર્યકરોને શીખ: બુમાબુમ થાય પણ આપણું કામ છે શાંતિથી સાંભળવાનું.
વડોદરામાં જે રીતે પૂર્વ કોર્પોરેટરો અને મેયર-ચેરમેનોએ વહિવટ કર્યો છે, તેના કારણે જનતાને 5 વર્ષ સુધી પાયાની સુવિધાઓ પણ મળતી નથી અને તેના કારણે જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યો છે, જેથી કાર્યકરોમાં હતાશા જોવા મળી રહી છે.જો કે, વોર્ડ નં. 7 ના કાર્યાલયની મુલાકાત વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યકર્તાઓ સાથે વાત કરીને તેમને પોતાના અનુભવનું ભાથું પીરસ્યું હતું. મૃદુ અને મક્કમ નેતા તરીકેની છાપ ધરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વોર્ડ 7 ના કાર્યાલયની મુલાકાત દરમિયાન કાર્યકર્તાઓ સાથે ખૂબ જ સહજતાથી સંવાદ સાધ્યો હતો.મુખ્યમંત્રીએ ખૂબ જ માર્મિક વાત કહી કે, "શાંતિથી સાંભળવું એ પણ એક જવાબદારી છે.
ઘણીવાર જનપ્રતિનિધિઓ કે કાર્યકર્તાઓ પાસે લોકો પોતાની ફરિયાદો લઈને આવતા હોય છે. ક્યારેક લોકો આક્રોશમાં હોય કે બુમાબુમ કરતા હોય, પણ મુખ્યમંત્રીએ શીખ આપી હતી કે આપણે શાંતિ જાળવવી જોઈએ.જો કામ સાચું હોય અને કરવા જેવું હોય, તો ચોક્કસ કરવું. પરંતુ જો કોઈ કામ નિયમ વિરુદ્ધ હોય કે ન થઈ શકે તેમ હોય, તો પણ સામેની વ્યક્તિને શાંતિથી સાંભળવી જોઈએ. લોકો જ્યારે તકલીફમાં હોય, ત્યારે તેમને કોઈ એવું જોઈએ જે તેમની વાત સાંભળે. અડધી સમસ્યા તો માત્ર શાંતિથી સાંભળવાથી જ ઉકેલાઈ જતી હોય છે.ભૂપેન્દ્ર પટેલે કાર્યકર્તાઓને જમીની હકીકતનો અહેસાસ કરાવતા કહ્યું કે ભાજપનો કાર્યકર એ ચૂંટણીલક્ષી મોસમી કાર્યકર નથી, પરંતુ તે જનતાની વચ્ચે રોજ રહેનારો વ્યક્તિ છે. તેમણે કહ્યું કે આપણે તો રોજ લોકોની વચ્ચે જવાના છીએ. ક્યાંક જવામાં કે કોઈને મળવામાં ચૂક થઈ ગઈ હોય, તો તેને સુધારી લેવાની તત્પરતા રાખવી જોઈએ.તેમણે કહ્યું કે જનતાને એ પૂછવાની જરૂર છે કે જે લોકો આજે મત માંગવા આવે છે, તે ચૂંટણી હારી ગયા પછી ક્યારેય સોસાયટીમાં દેખાયા હતા ખરા?મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વોર્ડ 7 ની આ મુલાકાતે કાર્યકર્તાઓને એ સમજાવ્યું છે કે રાજકારણ એ માત્ર સત્તા મેળવવાનું સાધન નથી, પરંતુ એ સેવાનું માધ્યમ છે. "શાંતિથી સાંભળવું, ભૂલ સુધારવી અને સતત લોકોની વચ્ચે રહેવું" — આ ત્રણ સૂત્રો જો કાર્યકર્તા અમલમાં મૂકે, તો સંગઠન અજેય બની રહે છે.
Reporter: admin







