મુંબઈ : ઓનલાઇન પેમેન્ટ માટે UPI નો ઉપયોગ કરતાં યુઝર્સ માટે 1 જાન્યુઆરી, 2025થી અનેક ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે.
આરબીઆઇએ યુપીઆઇ ટ્રાન્ઝેક્શનની સુરક્ષામાં વધારો કરતાં અમુક નિયમોમાં ફેરફાર કર્યા છે. નવો નિયમ લાગુ થયા બાદ યુઝર્સે મોટી રકમના ટ્રાન્ઝેક્શન માટે મંજૂરી લેવી પડશે. તેમજ અન્ય અમુક સુવિધાઓ પણ આપવામાં આવી છે.આરબીઆઇએ ફીચર ફોન યુઝર્સ માટે સજ્જ પેમેન્ટ સર્વિસ UPI123Payની ટ્રાન્ઝેક્શન મર્યાદા વધારી છે. 1 જાન્યુઆરી, 2025થી યુઝર્સ UPI123Pay મારફત રોજના રૂ. 10000 સુધીની લેવડ-દેવડ કરી શકશે. અગાઉ તેની મર્યાદા રૂ. 5000 હતી. ફીચર ફોનના વપરાશ અને ઓફલાઇન પેમેન્ટની સુવિધા આપતાં પ્લેટફોર્મ UPI123Pay પર હવે યુઝર્સ મોટી રકમ ટ્રાન્સફર કરી શકશે. ઉલ્લેખનીય છે, સ્માર્ટફોન મારફત યુપીઆઈ ટ્રાન્ઝેક્શન કરતાં યુઝર્સની પેમેન્ટ લિમિટ યથાવત્ રાખવામાં આવી છે.
ફોનપે, પેટીએમ, ગુગલપે હેઠળ યુઝર સ્માર્ટફોન મારફત રૂ. 1 લાખ સુધીના ટ્રાન્ઝેક્શન કરી શકે છે. તેમજ કૉલેજ ફી અને હૉસ્પિટલના કિસ્સામાં રૂ. 5 લાખ સુધીની ચૂકવણી કરવાની સુવિધા પણ છે.યુપીઆઇ સર્કલ ફીચર 2024માં લોન્ચ થયું હતું. જે આગામી વર્ષથી તમામ યુપીઆઇ સમર્થિત પ્લેટફોર્મ પર લાગુ થશે. હાલ ભીમ એપના યુઝર્સ યુપીઆઇ સર્કલનો લાભ ઉઠાવી શકે છે. જેમાં યુઝર પોતાના મિત્ર, પરિજનોને યુપીઆઇ એકાઉન્ટ એક્સેસ કરવાની મંજૂરી આપે છે. એક જ બૅન્ક એકાઉન્ટ મારફત એક કરતાં વધુ લોકો ઓનલાઇન પેમેન્ટ કરી શકે છે. જો કે, પ્રાયમરી એકાઉન્ટ હોલ્ડર અન્ય યુઝર્સ માટે ટ્રાન્ઝેક્શન લિમિટ નક્કી કરી શકે છે.
Reporter: admin