ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લાના ખેરાગઢમાં આવેલી ઉટંગન નદીમાં ગુરુવારે મા દુર્ગાની મૂર્તિ વિસર્જન કરવા આવેલા કુશિયાપુર ડૂગરવાલા ગામના 14 યુવકો ઊંડા પાણીમાં ડૂબી જતાં અફરાતફરી મચી ગઈ હતી. ગ્રામજનોએ ભારે જહેમત બાદ એક યુવક વિષ્ણુને બચાવી લીધો હતો. આશરે દોઢ કલાક બાદ પોલીસની મદદથી ત્રણ યુવકો ઓમપાલ, મનોજ અને ગગનના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. મોડી રાત સુધી શોધખોળ ચાલુ રાખવા છતાં બાકીના 10 લોકોનો પત્તો લાગ્યો નહોતો, જેમાં ૫ સગીરોનો સમાવેશ થાય છે.
સુરક્ષા વ્યવસ્થા પર ગ્રામજનોનો આક્રોશ
ઘટનાની જાણ થતાં જિલ્લા મેજિસ્ટ્રેટ અરવિંદ મલ્લપ્પા બંગારી અને ડીસીપી પશ્ચિમી ઝોન અતુલ શર્મા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે નદી પાસે કોઈ સુરક્ષા વ્યવસ્થા નહોતી અને જો પોલીસ તૈનાત હોત તો આ અકસ્માત ટાળી શકાયો હોત. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની ટીમ સમયસર ન પહોંચતાં ગુસ્સે ભરાયેલા લોકોએ જામ લગાવી દીધો હતો. જોકે, પોલીસ અધિકારીઓએ સમજાવટ કરતાં 2 કલાક બાદ ગ્રામજનો શાંત પડ્યા હતા.
આગ્રામાં મૂર્તિ વિસર્જન દરમિયા કરૂણાંતિકા, નદીમાં 14 લોકો ડૂબ્યા, ત્રણ મૃતદેહ મળ્યા, શોધખોળ ચાલુ
આ દુર્ઘટના બપોરે 1 વાગ્યાની આસપાસ સર્જાઇ હતી. ખેરાગઢના કુસિયાપુર ગામમાં ચામડ માતાના મંદિર પાસે નવરાત્રીમાં મા દુર્ગાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી. દશેરાના દિવસે મૂર્તિ વિસર્જન માટે ગામના 40-50 જેટલા પુરુષો, મહિલાઓ અને બાળકો ઉટંગન નદી પાસે પહોંચ્યા હતા. વિષ્ણુ (20), ઓમપાલ (25), ગગન (24), હરેશ 20), અભિષેક (17), ભગવતી (22), ઓકે (16), સચિન પુત્ર રામવીર (26), સચિન પુત્ર ઊના (17), ગજેન્દ્ર (17) અને દીપક (15) સહિત 14 યુવકો ઊંડા પાણીમાં ગયા હતા.
Reporter:







