ઔલી : ડિસેમ્બર મહિનો હવે પૂર્ણતાના આરે છે અને નવા વર્ષના આગમનને આડે ગણતરીના કલાકો બાકી છે, તેમ છતાં ઉત્તરાખંડના પહાડો હજુ પણ બરફ વગર વેરાન લાગે છે.
સામાન્ય રીતે આ સમયે કેદારનાથ અને બદ્રીનાથ ધામ 5થી 8 ફૂટ બરફથી ઢંકાયેલા હોય છે, પરંતુ આ વર્ષે કુદરત કંઈક અનોખો જ મિજાજ જોવા મળી રહ્યો છે.ઉત્તરાખંડના પ્રખ્યાત પર્યટન સ્થળ ઔલી અને ચંબામાં દર વર્ષે આ સમયે સ્નો-ફૉલનો આનંદ લેવા પર્યટકો ઉમટી પડતા હોય છે. આ વર્ષે પણ નવા વર્ષની ઉજવણી માટે મોટી સંખ્યામાં સહેલાણીઓ પહોંચ્યા છે, પરંતુ બરફ ન હોવાને કારણે તેમના ચહેરા પર માયૂસી જોવા મળી રહી છે. માત્ર પર્યટકો જ નહીં, સ્થાનિક વેપારીઓ અને ખેડૂતો પણ ચિંતામાં છે, કારણ કે બરફવર્ષા ન થવાને કારણે બાગાયતી ખેતી પર જોખમ તોળાઈ રહ્યું છે.હવામાન નિષ્ણાત પ્રોફેસર ડૉ. ચંદ્રમોહનના જણાવ્યા અનુસાર, આ વર્ષે 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ' સતત નબળું રહ્યું છે. જ્યારે આ સિસ્ટમ મજબૂત હોય છે, ત્યારે જ પહાડોમાં બરફવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદ પડે છે.
આ વખતે નવેમ્બર અને ડિસેમ્બરમાં કોલ્ડવેવ, ધુમ્મસ અને ઝાકળનું પ્રમાણ પણ નહિવત રહ્યું છે, જેના કારણે ઠંડીએ પણ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું નથી.હિમાલયના બદલાતા સ્વરૂપ અને બરફની અછતને લઈને નિષ્ણાતોમાં મુખ્યત્વે બે અલગ-અલગ મત જોવા મળી રહ્યા છે. એકતરફ, સ્પેસ એપ્લિકેશન સેન્ટર (અમદાવાદ)ના પૂર્વ વૈજ્ઞાનિક ડૉ. એમ.એમ. કિમોઠી આ સ્થિતિને ક્લાયમેટ ચેન્જના ગંભીર સંકેત તરીકે જુએ છે; તેઓ જણાવે છે કે બદ્રીનાથમાં હવે એવી નવી વનસ્પતિઓ જોવા મળી રહી છે જે અગાઉ ક્યારેય ઉગતી નહોતી અને હિમાલયની 'ટ્રી-લાઇન' પણ સતત ઉપર તરફ ખસી રહી છે, જે ચિંતાજનક ફેરફાર છે. બીજી તરફ, દેહરાદૂન હવામાન કેન્દ્રના ડાયરેક્ટર ડૉ. સી.એસ. તોમર આ પરિસ્થિતિને એક સામાન્ય પ્રક્રિયા ગણાવે છે.
Reporter: admin







