કતાર: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહેલા ભીષણ સરહદી સંઘર્ષને સમાપ્ત કરવામાં એક મોટી સફળતા મળી છે.
કતારના વિદેશ મંત્રાલયે રવિવારે 19 ઓક્ટોબરે વહેલી સવારે જાહેરાત કરી કે, કતારની રાજધાની દોહામાં તુર્કીયેની મધ્યસ્થીમાં યોજાયેલી વાતચીતમાં બંને દેશો તાત્કાલિક યુદ્ધવિરામ પર સહમત થયા છે. આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં ડઝનબંધ લોકો માર્યા ગયા છે અને સેંકડો ઘાયલ થયા છે.મળતી માહિતી મુજબ, કતારે જણાવ્યું છે કે, યુદ્ધવિરામ કાયમી રહે અને તેનું યોગ્ય રીતે અમલીકરણ થઈ શકે તે માટે બંને પક્ષો આગામી દિવસોમાં વધુ બેઠકો યોજવા માટે પણ સહમત થયા છે. આ તાજેતરનો સંઘર્ષ 2021માં તાલિબાનના સત્તામાં પાછા ફર્યા પછી બંને પડોશી દેશો વચ્ચેનો સૌથી ગંભીર ટકરાવ છે.
અફઘાન અધિકારીઓએ જણાવ્યું હતું કે, કાબુલના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ રક્ષા મંત્રી મુલ્લા મોહમ્મદ યાકૂબે કર્યું હતું, જ્યારે પાકિસ્તાન તરફથી રક્ષા મંત્રી ખ્વાજા આસિફ તાલિબાનના પ્રતિનિધિઓ સાથે વાતચીતમાં જોડાયા હતા.પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે, વાતચીતનો મુખ્ય હેતુ અફઘાનિસ્તાનમાંથી પાકિસ્તાનમાં થતા સરહદ પારના આતંકવાદને રોકવાનો અને પાક-અફઘાન સરહદ પર શાંતિ પુનઃસ્થાપિત કરવાનો હતો. ઇસ્લામાબાદે કાબુલ પાસે માંગ કરી હતી કે, સરહદ પારથી પાકિસ્તાનમાં હુમલા કરનારા આતંકવાદીઓને અટકાવવામાં આવે, ત્યારબાદ હિંસા શરૂ થઈ હતી.બીજી બાજું, તાલિબાન આતંકવાદીઓને આશ્રય આપવાનો ઇનકાર કરે છે અને પાકિસ્તાન પર ખોટી માહિતી ફેલાવવાનો તેમજ અફઘાનિસ્તાનને અસ્થિર કરવા માટે ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા જૂથોને ટેકો આપવાનો આરોપ મૂક્યો છે. જોકે, પાકિસ્તાન આ આરોપોને ફગાવી દીધા.
Reporter: admin







