૪૧થી વધુ ફ્લાયઓવર, રેલવે અને રીવર બ્રિજ પર ૫૨ આકર્ષક આર્ટ પેઈન્ટીંગ.
દુમાડ જંકશન અને અકોટા–દાંડિયા બજાર બ્રિજ કામગીરી પૂર્ણ, આગામી દિવસોમાં શહેરના અન્ય મહત્વના બ્રિજ પર પણ પેઈન્ટીંગ શરૂ..

વડોદરા શહેરને વધુ સુંદર, રળિયામણું અને કલાત્મક બનાવવાના હેતુથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ ફ્લાયઓવર, રેલવે ઓવરબ્રિજ અને રીવર બ્રિજ પર આર્ટ પેઈન્ટીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરની સુંદરતામાં વધારો કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની બ્રિજ પ્રોજેક્ટ શાખા દ્વારા આ બ્યુટીફિકેશન પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે.શહેરમાં કુલ ૪૧ હયાત બ્રિજ આવેલા છે, જેમાં અટલ ફ્લાયઓવર, હરીનગર, અમિતનગર, ફતેગંજ જેવા મુખ્ય ફ્લાયઓવર ઉપરાંત શાસ્ત્રી રેલવે ઓવરબ્રિજ અને કાલાઘોડા, વુડા, છાણી કેનાલ જેવા રીવર બ્રિજનો સમાવેશ થાય છે.
આ તમામ બ્રિજના મુખ્ય સ્ટ્રક્ચરો પર આકર્ષક આર્ટ પેઈન્ટીંગ કરીને તેમનું બ્યુટીફિકેશન કરવામાં આવી રહ્યું છે.મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષે પણ શહેરના વિવિધ સ્થળોએ આર્ટ પેઈન્ટીંગની કામગીરી કરવામાં આવી હતી. ચાલુ વર્ષે પણ આ ગતિ જાળવી રાખતાં દુમાડ જંકશન અને અકોટા–દાંડિયા બજાર બ્રિજ પર આર્ટ પેઈન્ટીંગની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. હાલ અકોટા–દાંડિયા બજાર રેલવે ઓવરબ્રિજ તેમજ લાલબાગ રેલવે ઓવરબ્રિજ (કાશીવિશ્વનાથ મંદિર તરફના એપ્રોચ) પર પેઈન્ટીંગની કામગીરી પ્રગતિ હેઠળ છે.આગામી દિવસોમાં કલાલી, છાણી, જેતલપુર, વડસર રેલવે ઓવરબ્રિજ તથા વડસર લેન્ડફીલ રીવર ઓવરબ્રિજ સહિત શહેરના અન્ય મહત્વના બ્રિજ પર પણ ટૂંક સમયમાં કલાત્મક પેઈન્ટીંગની કામગીરી શરૂ કરવામાં આવશે.આ પ્રોજેક્ટ દ્વારા શહેરના જાહેર સ્થળો અને સર્કલોની જાળવણી સાથે વડોદરાની એક નવી, કલાત્મક ઓળખ ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
Reporter: admin







