વડતાલ ધામ સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતા વડતાલ સ્વામિનારાયણ મંદિરમા છેલ્લા ૪ દિવસથી સહજાનંદ બાળ-બાલિકા શિબિર-૯માં ચાલી રહી છે.

શિબિરની પૂર્ણાહુતિની પૂર્વસંધ્યાએ વડતાલ ગાદીના સંતો ભક્તો તથા શિબિરાર્થીઓ દ્વારા જમ્મુકાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓએ ધર્મ પૂછી નિર્દોષ પ્રવાસીઓ ઉપર અંધાધૂંધ ગોળીબાર કરી ૨૮ લોકોની હત્યા કરવાના વિરોધમાં સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરી કેન્ડલ માર્ચ સાથે મૃતકોને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. આ પ્રસંગે આસી.કોઠારી પૂ.શ્યામવલ્લભસ્વામી, નારાયણચરણસ્વામી (બુધેજ), રઘુનંદન સ્વામી (ભરૂચ), માનસસ્વામી, પાર્ષદ અજય ભગત, ગોપાલ ભગત સહિત ઉપસ્થિત શિબિરાર્થીઓ દ્વારા આતંકવાદી હુમલાનો ભોગ બનેલા મૃતાત્માઓને ભગવાન સ્વામિનારાયણ તેમના ચરણોનું સુખ આપે અને તેઓના પરિવાર પર પડી આવેલ આકસ્મિક આફતમાં દુ:ખ સહન કરવાની શક્તિ અર્પે તે માટે સ્વામિનારાયણ મહામંત્રની ધૂન બોલાવી કેન્ડલ માર્ચ કરી શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. વડતાલ ધામમાં યોજાયેલી ચાર દિવસીય સહજાનંદી બાળ યુવા શિબિર-૯ની સોમવારે બપોરે ૧૨-૦૦ કલાકે પુર્ણાહુતિ થઇ હતી.

પુર્ણાહુતિ સમારંભમાં આસી.કોઠારી શ્યામવલ્લભસ્વામી, રઘુનંદનસ્વામી, ઇશ્વરચરણ સ્વામી, પ્રેમનંદન સ્વામી સહિત સંતો પાર્ષદોએ શિબિરના યજમાન વસંતભાઇ મુખી (મેતપુર) પરિવારના સભ્યોનું ફુલહારથી સંતોએ સ્વાગત કર્યું હતું. સૌ શિબૂિરાર્થીઓએ તાળીઓના ગડગડાટથી સાથે જાહેરાતને વધાવી લીધી હતી. વડતાલગાદીના આચાર્ય પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના શુભાર્શીવાદ સાથે સહજાનંદ બાળયુવા શિબિર ૯નો શનિવાર તા.૨૬ એપ્રિલના રોજ વડતાલ મંદિરના ચેરમેન ડો.સંતસ્વામી તથા મુખ્યકોઠારી દેવપ્રકાશસ્વામી સહિત વડીલ સંતોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે શુભારંભ કરવામાં આવ્યો હતો. આજના સમયમાં યુવાધન પશ્ચિમ સંસ્કૃતિના રંગે રંગાઇ ફેશન અને વ્યસનના રવાડે ચઢી જીવન બરબાદ કરી રહ્યું છે. ત્યારે નાનપણથી જ બાળકોમાં સારા સંસ્કારનું સિંચન થાય તે માટે સંતો ખૂબ પરિશ્રમ કરી ઉનાળાના વેકેશનમાં બાળયુવા શિબિરનું આયોજન કરે છે. સત્સંગીવાલીઓ પણ ચાર ચાર દિવસ સુધી પોતાના બાળકોમાં સારા સંસ્કાર આવે તે માટે શિબિરમાં મોકલતા હોય છે માતા-પિતા પણ ન આપે તેવો પ્રેમ સંતો દ્વારા આપવામાં આવે છે અને બાળકો પણ આનંદ ઉત્સાહ સાથે શિબિરમાં ભાગ લેતા હોય છે. સોમવારે શિબિરની પુર્ણાહુતિ સમારંભમાં વડતાલ મંદિરના સંતો દ્વારા સહજાનંદી બાળ યુવા શિબિરના યજમાન વસંતભાઇ મુખી પરિવાર (મેતપુર) ના સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. શિબિરમાં ભાગ લીધેલ સૌ શિબિરાર્થીઓને પ્રસાદીની મૂર્તિ, શિક્ષાપત્રી તથા આચાર્ય મહારાજે પાઠવેલ આર્શીવાદપત્ર અર્પણ કર્યો હતો.





Reporter: