ભાવનગરમાં PM મોદીએ કહ્યું
100 દુખની એક જ દવા 'આત્મનિર્ભર ભારત' બીજા પર નિર્ભરતા એ સૌથી મોટો દુશ્મન..
ભાવનગર : દેશના વડાપ્રધાન મોદી આજે ભાવનગરમાં આવી પહોંચ્યા છે. તેમણે આ દરમિયાન રોડ શો પણ યોજ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભાસ્થળે પહોંચી ગયા છે, જ્યાંથી તેઓ થોડીવારમાં ભાવેણાવાસીઓને સંબોધશે. જ્યાં તેમના સમર્થકો અને ચાહકોની ભીડ ઉમટી હતી. અહીં આયોજિત 'સમુદ્ર સે સમુદ્ધિ' કાર્યક્રમમાં ઉપસ્થિત રહી દેશવાસીઓને એક લાખ કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપશે.
પીએમ મોદીના આગમનના પગલે ભાવનગર શહેરને પોલીસ છાવણીમાં ફેરવી દઈને જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આ દરમિયાન કેન્દ્રીય અને રાજ્ય મંત્રીઓ અને મુખ્યમંત્રીએ ભાવનગરમાં ધામા નાંખી તૈયારીઓની સમીક્ષા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્રમોદીએ જણાવ્યું કે, ભારતને જો 2047 સુધીમાં વિકસિત થવું હોય તો તેને આત્મનિર્ભર બનવું પડશે. આત્મનિર્ભર બનવા સિવાય આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. 140 કરોડ દેશવાસીઓએ એક સંકલ્પ લેવો જોઈએ કે, ચિપ હોય કે શિપ, આપણે ભારતમાં જ બનાવવી છે.વડાપ્રધાને વધુમાં ઉમેર્યું કે, હવે વ્યાપાર અને કારોબારને વધુ સરળ બનાવવાનો સમય છે. તેમણે કહ્યું કે, તાજેતરના મોનસૂન સત્ર દરમિયાન સંસદમાં અમે અંગ્રેજોના સમયથી ચાલી આવતા ઘણા જૂના કાયદાઓને બદલ્યા છે. મેરીટાઇમ સેક્ટરમાં પણ સુધારા કરવામાં આવ્યા છે. આ નવા કાયદાઓથી શિપિંગ સેક્ટરમાં મોટો બદલાવ આવવાની શક્યતા છે, જે આ ક્ષેત્રને વધુ ગતિ આપશે.
'આત્મનિર્ભર ભારત' - 100 દુઃખોની એક દવા
ગુજરાતીમાં એક કહેવત છે, '100 દુઃખની એક દવા', અને મારા મતે, આ 100 દુઃખોની એક જ દવા છે - 'આત્મનિર્ભર ભારત'. તેમણે ભારપૂર્વક કહ્યું કે, આત્મનિર્ભર બનવા માટે આપણે પડકારોનો સામનો કરવો પડશે અને અન્ય દેશો પરની આપણી નિર્ભરતા સતત ઘટાડવી પડશે. ભારતને આત્મનિર્ભર બનીને દુનિયા સામે મજબૂતીથી ઊભા થવું પડશે. આ જ આપણા ભવિષ્યની સુરક્ષા માટે એકમાત્ર માર્ગ છે.
'હું તમામ મહાનુભાવોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું'
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, '17 સપ્ટેમ્બરે તમે સૌએ તમારા નરેન્દ્ર ભાઈને જે શુભેચ્છાઓ મોકલી છે, દેશ અને દુનિયામાંથી મને જે શુભેચ્છાઓ મળી છે, તે દરેકનો વ્યક્તિગત રીતે આભાર માનવો શક્ય નથી. પરંતુ, ભારતના ખૂણેખૂણેથી અને વિશ્વભરમાંથી મને જે પ્રેમ અને આશીર્વાદ મળ્યા છે, તે મારી સૌથી મોટી સંપત્તિ છે, તે મારી સૌથી મોટી તાકાત છે. તેથી, આજે હું જાહેર મંચ પરથી દેશ અને દુનિયાના તમામ મહાનુભાવોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.'
'આ કાર્યક્રમ સમગ્ર ભારતનો છે': PM
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, 'આ કાર્યક્રમ ભાવનગરમાં થઈ રહ્યો છે, પરંતુ આ કાર્યક્રમ સમગ્ર ભારતનો છે. સમગ્ર ભારતમાં સમુદ્રથી સમૃદ્ધિ તરફ જવાની આપણી દિશા શું છે, તે માટે આજે આ મહત્વપૂર્ણ કાર્યક્રમનું કેન્દ્ર ભાવનગરને પસંદ કરવામાં આવ્યું છે. ગુજરાત અને ભાવનગરના લોકોને ખૂબ ખૂબ અભિનંદન.'
ભાવનગર પહોંચતા જ PM મોદીનું અભિવાદન
ભાવનગર પહોંચતા જ વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તેઓ 'સમુદ્રથી સમૃદ્ધિ' કાર્યક્રમમાં ભાગ લેશે અને રૂ. 34,200 કરોડથી વધુની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ
વડાપ્રધાન મોદીએ આગામી 'સમુદ્રથી સમૃદ્ધિ' કાર્યક્રમ માટે યોજાયેલા પ્રદર્શનની મુલાકાત લીધી, જેનું તેઓ ઉદ્ઘાટન કરવાના છે. આ કાર્યક્રમ દરમિયાન, તેઓ રૂ. 34,200 કરોડથી વધુની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે.
ભાવનગરમાં વડાપ્રધાને યોજ્યો રોડ શો: યુવાનોમાં અનેરો ઉત્સાહ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાવનગર ખાતે આગમન થતાં યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ભાવનગરની વિવિધ કોલેજો અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વડાપ્રધાનને આવકારવા માટે અનોખો ઉત્સાહ દર્શાવ્યો હતો. ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, એસ.એસ. કોલેજ, મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી અને સર બીપીટીઆઈ કોલેજના NSS (નેશનલ સર્વિસ સ્કીમ)ના સ્વયંસેવકો 'માય ભારત'ના લોગોવાળા ટી-શર્ટ અને કેપ પહેરીને સભા સ્થળે પહોંચ્યા હતા. આ વિદ્યાર્થીઓએ વડાપ્રધાનને સત્કારવા માટે અનેરી આતુરતા બતાવી હતી.આ પ્રસંગે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજની વિદ્યાર્થીની પૂજાબા ગોહિલે જણાવ્યું કે, 'અમારા વડાપ્રધાનને આવકારવા માટે અમે ખૂબ જ ઉત્સાહિત છીએ. તેમણે શરૂ કરેલા સ્વચ્છ ભારત અભિયાન અને નશા મુક્ત ભારત જેવા અભિયાનોએ સમાજ અને રાષ્ટ્રમાં સકારાત્મક પરિવર્તન લાવ્યું છે.'અન્ય એક વિદ્યાર્થી યુગ કોટડીયાએ પણ વડાપ્રધાનને રૂબરૂ જોવા અને સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે વડાપ્રધાનના સંબોધનથી નવી પ્રેરણા પ્રાપ્ત કરવાનો તેમનો ઉત્સાહ છે. આ યુવાનોનો ઉત્સાહ દર્શાવે છે કે વડાપ્રધાનના આગમનને લઈને ભાવનગરના યુવાવર્ગમાં કેવો અનેરો માહોલ છવાયો છે.
Reporter: admin







