નવી દિલ્હી : ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન ભારતરત્ન લાલકૃષ્ણ અડવાણીની તબિયત બગડી છે. શનિવારે તેમને દિલ્હીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની સારવાર ન્યુરોલોજી વિભાગના સિનિયર કન્સલ્ટન્ટની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે.
લાલકૃષ્ણ અડવાણી 97 વર્ષના છે. છેલ્લા 4-5 મહિનામાં લગભગ ચોથી વખત તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન ડોકટરોના નિરીક્ષણ હેઠળ છે. તેમની તબિયત સ્થિર છે.લાલકૃષ્ણ અડવાણી વારંવાર સ્વાસ્થ્યની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ વર્ષે તેને ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જુલાઈમાં દિલ્હી એઈમ્સમાંથી ડિસ્ચાર્જ થયાના થોડા જ દિવસો બાદ તેમને એપોલોમાં દાખલ કરવામાં આવ્યા હતા.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 30 માર્ચે તેમના નિવાસસ્થાને તેમને ‘ભારત રત્ન’ એનાયત કર્યો હતો.
આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પણ તેમના નિવાસસ્થાને હાજર હતા. 2015માં પદ્મ વિભૂષણ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. વાજપેયી સરકારમાં અડવાણી નાયબ વડાપ્રધાન હતા. તેઓ દેશના ગૃહમંત્રી પણ રહી ચૂક્યા છે.લાલકૃષ્ણ અડવાણીએ 2002 થી 2004 સુધી વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની સરકારમાં નાયબ વડા પ્રધાન તરીકે સેવા આપી હતી. 1980 માં જનતા પાર્ટીના વિસર્જન પછી અડવાણીએ અટલ બિહારી વાજપેયી સાથે મળીને ભાજપ પક્ષની સ્થાપના કરી. તેઓએ સાથે મળીને પક્ષની વિચારધારાને આકાર આપવામાં અને સમગ્ર ભારતમાં તેનો પ્રભાવ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
Reporter: admin