સાબરકાંઠા :જિલ્લાના હિંમતનગરમાં ઊંચા વ્યાજદરની લાલચ આપીને રોકાણકારો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનું આવ્યું છે. સમગ્ર ઘટના મામલે 'એ.આર. કન્સલ્ટન્સી' નામની પેઢી સામે રૂ.3.42 કરોડની છેતરપિંડીની હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, સાબરકાંઠાના હિંમતનગરમાં બિટકોઈન અને યુ.એસ.ડી.ટી.માં રોકાણ પર ઊંચા વળતરની લાલચ આપીને કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ કૌભાંડ એક પોન્ઝી સ્કીમના સ્વરૂપમાં ચલાવવામાં આવી રહ્યું હતું. રોકાણકારોને 3 થી 10 ટકા સુધીનું માસિક વ્યાજદર આપવાની લોભામણી જાહેરાતો કરવામાં આવતી હતી. જેની જાહેરાત સોશિયલ મીડિયામાં કરાતી હતી. સમગ્ર મામલે છેતરપિંડીનો ભોગ બનનાર પુષ્પરાજસિંહ ભરતસિંહ પરમારે ફરિયાદ નોંધાવી છે.
સાબરકાંઠા જિલ્લામાં અનેક લોકોને એજન્ટ બનાવીને તેમની મારફતે મોટા પાયે રોકાણ કરાવવામાં આવ્યું હતું. રોકાણકારોની ડિપોઝિટ રકમ પોન્ઝી સ્કીમમાં ફસાઈ ગઈ છે. સમગ્ર મામલે એ.આર. કન્સલ્ટન્સી અને એ.આર. કેપીટલ સર્વિસીસ નામની કંપનીઓના માલિકો અને 10થી વધુ આરોપી વિરૂદ્ધમાં હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધીને આરોપીને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
Reporter: admin







