વિઝિબિલિટી ન હોવાના કારણે 7 બસો અને 4 કાર એક બાદ એક ટકરાઈ: બસોમાં ભીષણ આગ લાગી
દિલ્હી : ગાઢ ધુમ્મસના કારણે આજે વહેલી સવારે દિલ્હી-આગ્રા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત થયો હતો. મંગળવારે વહેલી સવારે મથુરામાં એક બાદ એક બસો અને કારનો અકસ્માત થયો. જેમાં ચાર લોકોના મોત થયા છે જ્યારે 25 ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિઝિબિલિટી ન હોવાના કારણે 7 બસો અને 4 કાર એક બાદ એક ટકરાઈ. જે બાદ ભીષણ આગ લાગી હતી. ફાયર વિભાગની ટીમોએ આગ પર કાબૂ મેળવી લીધો છે. મથુરા જિલ્લાના SSP શ્લોક કુમારે 4 મોતની પુષ્ટિ કરી છે. હોસ્પિટલમાં દાખલ ઈજાગ્રસ્તો માંથી કોઈની હાલત ગંભીર નથી.
અકસ્માત યમુના એક્સપ્રેસ-વે પર માઈલસ્ટોન-127 નજીક થયો. બસો આગ્રાથી નોઇડા તરફ જઈ રહી હતી અને ધુમ્મસના કારણે અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે. 7માંથી 6 બસો સ્લીપર બસો હતી જ્યારે 1 રોડવેઝ બસ હતી. અકસ્માત બાદ સુરક્ષા કારણોસર માર્ગ થોડા સમય માટે બંધ કરી દેવાયો છે. અધિકારીઓનું કહેવું છે કે અકસ્માતનું કારણ જાણવા ઊંડી તપાસ શરૂ કરી દેવાઈ છે.
Reporter: admin







