વડોદરાના ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ ભલે વડોદરામાં સીએફઓ તરીકે ગોઠવાઇ ગયા હોય પણ તેમને ગુજરાતી ભાષા બોલતા પણ આવડતું નથી. જેથી ફાયર બ્રિગેડમાં મોટી સમસ્યા ઉભી થઇ છે. તેઓ પોતાના તાબામાં રહેલા અધિકારીઓ અને કર્મચારીઓની વાતને સમજી શકતા નથી જેથી ફાયર વિભાગમાં દરેકને તેમની વાત સમજાવવા હિન્દીનો સહારો લેવો પડે છે જે બિલકુલ યોગ્ય નથી ખુદ રાજ્ય સરકાર તમામ આઇપીએસ અને આઇએએસ અધિકારીઓને ગુજરાતી ભાષામાં જ દરેક કર્મચારી અને નાગરિકો સાથે વાતચીત કરવાનો આગ્રહ રાખે છે અને વખતો વખત સુચના પણ આપેલી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અધિકારીઓને તેમની વાત તેમના તાબાના અધિકારીઓ અને સામાન્ય નાગરીક સમજી શકે તે માટે ગુજરાતીમાં જ વાતચીત કરવાની હંમેશા ટકોર કરતા આવ્યા છે પણ વડોદરાનું કમનસીબ છે કે ચીફ ફાયર ઓફિસર ગુજરાતી બોલી શકતા નથી. તેઓને પોતાની ફરજ પર 20 દિવસ કરતા વધુ દિવસનો સમય થઇ ગયો છે. પોતે મહારાષ્ટ્રથી આવેલા છે અને તેમની મુળ ભાષા મરાઠી છે અને તેમને ઓનલાઇન ભરતી ફોર્મમાં પણ તેઓ ગુજરાતી બોલી શકતા ના હોવાનું જણાવેલું છે પણ ફરજના 20 દિવસ થઇ ગયા હોવા છતાં તેઓ ગુજરાતી બોલી શકતા નથી જેથી તેઓ હમણા હમણા પોતાના તાબાના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે મિટીંગ કરે છે ત્યારે હંમેશા હિન્દીમાં બોલે છે પણ સામેનો અધિકારી કે કર્મચારી જો ગુજરાતીમાં બોલે તો તેઓ સમજી શકતા નથી. ભાષાની તકલીફ તેમને નડી રહી છે. આ ઉપરાંત તેઓએ પાલિકાના અધિકારીઓ જોડે પણ જ્યારે મિટીંગમાં હોય ત્યાં પણ ગુજરાતી ભાષામાં જ સંવાદો થતા રહે છે તેથી તેઓ મિટીંગમાં શું થાય છે કઇ બાબતની ચર્ચા થઇ રહી છે તે સમજી શકતા નથી. જો તેઓ ગુજરાતી ભાષા બોલી શકતા નથી કે સમજી શકતા નથી તો તેમની સમક્ષ પોતાની રજૂઆત કરવા કોઇ સામાન્ય નાગરીક જશે ત્યારે તેઓ આ નાગરીકની વાત સમજી શકશે ખરા તે એક મોટો પ્રશ્ન છે. પાલિકા સહીત અન્ય વિભાગોમાં જ્યારે અધિકારીઓ સાથે મીટીંગ હોય ત્યારે અધિકારીઓ ગુજરાતીભાષામાં મીટીંગ કરતા હોય છે જોકે ગુજરાતી ના સમજી શકતા ચીફ ફાયર ઓફિસર અન્ય અધિકારીઓ અસંજસમાં મુકાયા છે કે સમજાવુ કેવી રીતે.

સીએફઓ અને પીએ ટુ કમિશનરની ભરતીમાં તપાસના નામે ઉચ્ચ અધિકારીઓનો ટાઇમપાસ વડોદરા કોર્પોરેશનમાં ચીફ ફાયર ઓફિસર અને પીએ ટુ કમિશનરની ભરતીમાં જે કાંડ થયા છે તેની તપાસ કરવાના નામે કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ માત્રને માત્ર ટાઇમપાસ કરી રહ્યા છે. છેલ્લા 10 દિવસથી બંને ભરતી વિવાદોમાં ઉચ્ચ અધિકારીઓ તપાસ થઇ રહી છે નું ગાણુ ગાઇ રહ્યા છે પણ હજું પણ અધિકારીઓ એમ કહી શકવાની સ્થિતીમાં નથી કે તપાસ પુરી થઇ છે અને તેના આ તથ્યો બહાર આવ્યા છે. તેઓ આમ કહી શકે તેમ જ નથી કારણ કે તપાસમાં જે કંઇ બહાર આવશે તે ચોંકાવનારું હશે અને પાલિકાના જવાબદાર લોકોની જ તેમાં બેદરકારી અને સંડોવણી બહાર આવશે. સીએફઓ તરીકે જે ઉમેદવારને તેમણે પસંદ કરેલો છે તેણે જે કોલેજમાંથી બીએસસી ફાયરનો કોર્સ કરેલો છે તે કોલેજમાં આ કોર્સ જ બંધ થઇ ગયો છે તો હવે આ કોર્સ કરેલા ઉમેદવારને કેમ ડિસ્ક્વોલિફાય કરાતો નથી તેવો સવાલ પુછાઇ રહ્યો છે. વડોદરાના ચીફ ફાયર ઓફિસર અને ગુજરાત રાજ્યના સ્ટેટ ફાયર સર્વિસના ડાયરેક્ટર નલિન ચૌધરી સહિત ઘણા ફાયર અધિકારીઓ એવા છે કે જેમનણે સાણંદ ખોડાની કોલેજમાં ફાયરનો કોર્સ કરેલો છે તો આ તમામ અધિકારીઓને ડિસ્ક્વોલિફાય કરવા જરુરી છે પણ કોર્પોરેશન આ દિશામાં તપાસ સુદ્ધા કરતું નથી. પ્રમાણપત્રોના વેરીફિકેશનના નામે માત્રને માત્ર ટાઇમ પાસ કરાઇ રહ્યો છે જેથી જેમ જેમ સમય લંબાતો જાય તેમ લોકો આ ભરતી કાંડ ભુલી જાય
કોર્પોરેશની બંને મહત્વની જગ્યાઓ પર કમિશનર રાણાજીએ મનમાની કરી છે તે હવે જગજાહેર થઇ ગયું છે. બિનઅનુભવી અને લાયકાત વગરના ઉમેદવારોને બંને મહત્વની જગ્યા પર ભરતી કરી દેવાઇ છે અને વડોદરાનો શાસક પક્ષ ભેદી રીતે મૌન બનીને જોઇ રહ્યો છે. ચીફ ફાયર ઓફિસર અને પીએ ટુ કમિશનરની ભરતીમાં મોટાપાયે ગેરરીતિ થઇ છે અને તેની ઉંડી તપાસથવી જરુરી છે. જો ગેરરિતીના થઇ હોય તો કમિશનર રાણાજીએ જાહેરમાં આવીને તમામ દસ્તાવેજો જગજાહેર કરી દેવા જોઇએ અને બંને ભરતીમાં નિયમો મુજબ પારદર્શીતા દાખવાઇ હોવાના પુરાવા જાહેર કરવા જોઇએ અને તો જ વડોદરા શહેરની જનતા કમિશનર રાણાજી પર વિશ્વાસ મુકશે અન્યથા કોર્પોરેશનમાં થયેલા પ્રત્યેક નિર્ણયો પાછળ શંકા થવા લાગશે.

કમિશનર રાણાજીએ કોર્પોરેશનની તમામ ભરતીમાં રાજ્ય સરકારના નિયમોના ધજાગરા ઉડાવી પોતાને મનફાવે તેવા નિયમો બનાવી દીધા છે કમિશનરે પોતાની મનમાની કરીને નિયમો જાહેર કર્યા કોર્પોરેશનમાં વિવિધ જગ્યાઓ પર જે ભરતી થઇ છે તેમાં ભરતીનું તો માત્ર નાટક થાય છે. વાસ્તવમાં તો તે જગ્યા માટેના ઉમેદવારની પસંદગી કમિશનરે અગાઉથી જ કરી દીધી હોય છે તેવું હવે ખુલ્લેઆમ કોર્પોરેશનમાં ચર્ચાવા માડ્યું છે. તેમણે જે નિયમો બનાવ્યા છે તેમાં આશ્ચર્યજનક ઇલેકટ્રીકલ , મિકેનિલ વિભાગમાં કોર્પોરેશનના હંગામી કર્મચારીઓને 50 ટકા રિઝર્વેશન લાભ અપાતો જ નથી. જો તમે સિવીલ વિભાગના પાલિકાના હંગામી કર્મચારીઓને 50 ટકા અનામતનો લાભ આપો છો તો ઇલેકટ્રીકલ અને મિકેનીકલ વિભાગના હંગામી કર્મચારીઓને આ લાભ કેમ અપાતો નથી તેનો જવાબ રાણાજીએ આપવો જોઇએ, જો તમારે આ રીતે જ લેવાના હોય તો પછી ભરતીનું નાટક શા માટે કરો છો. કોર્પોરેશનનો સામાન્ય વહિવટ વિભાગ, કમિશનર, સ્થાયી સમિતી ચોક્કસ માનીતાઓને ફાયદો કરાવવા માટે સરકારના ધારાધોરણો કરતા વિરુદ્ધ ભરતીના નિયમો બનાવી ભ્રષ્ટાચાર કરવા ટેવાયેલા છે અને આ બધાના કારણે જ આજે વડોદરા સુરત અને અમદાવાદથી પાછળ છે. જેનો ભોગ પ્રજા અને લાયક ઉમેદવારને ભોગવવો પડે છે.
જીપીએમસી એક્ટને પણ ઘોળીને પી જવાયો ભરતી પ્રક્રિયામાં પોતાને મન ફાવે તેવા નિયમો બનાવનારા કમિશનર રાણાજી જીપીએમસી એક્ટને પણ ઘોળીને પી ગયા છે અને કોર્પોરેશનનું આખુ તંત્ર હંગામી અધિકારીઓ વડે ચાલી રહ્યું છે. તેમના કાર્યકાળમાં ઉપરથી નીચે સુધી અધિકારીઓ હવાલા સંભાળી રહ્યા છે અને તેમાં પણ જીપીએમસી એક્ટનું ઉલ્લંઘન કરાયું છે. ખરેખર તો 6 મહિના માટે જો હંગામી ચાર્જ સોંપવો હોય તો તેમાં સ્ટેન્ડિગ કમિટીની મંજૂરી જોઇએ પણ કમિશનર રાણાજી પોતે જ સરકાર સમજતા હોવાથી તેમણે કોઇ પણ પ્રકારની મંજૂરી લીધી હોય તેવું લાગતું નથી.
હજુપણ અનુભવ વગરના સીએફઓને ડિસ્ક્વોલીફાય કરાયા નથી ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલની નિમણુંક પણ વિવાદોના ઘેરામાં છે. તેઓ આરઆર મુજબ યોગ્ય લાયકાત અને અનુભવ ધરાવતા જ નથી. પાલિકાની સામાન્ય સભાએ પણ મનોજ પાટીલની નિમણુકની કમિશનરે કરેલી દરખાસ્તને નામંજુર કરી દીધી હતી પણ ત્યારબાદ એવું કંઇક થયું કે સામાન્ય સભાએ પણ બહાલી આપી હતી. પરંતુ પાલિકાના આરઆર મુજબ નિયમોનો ભંગ કરનારા મનોજ પાટીલને અત્યાર સુધી કમિશનર રાણાજીએ કેમ ડિસ્ક્વોલીફાઇ કર્યા નથી તેવો સવાલ શહેરભરમાં પુછાઇ રહ્યો છે. હવે તો ચીફ ફાયર ઓફિસર પણ ખુલ્લામાં આવીને જવાબ આપી શકે તેવી સ્થીતીમાં નથી કે તેમણે ક્યારે કઇ કોલેજમાંથી અભ્યાસ કરેલો છે અને પાલિકાના નિયમ મુજબ ફાયર ક્ષેત્રે કોઇ પણ નગરપાલિકા કે મહાનગરપાલિકામાં કેટલા વર્ષનો તેમને અનુભવ છે. ઉપરાંત હવે તો એ પણ ઘટસ્ફોટ થયો છે કે તેમણે જે કોલેજમાં કોર્સ કરેલો છે તે કોલેજમાં પણ હવે આ કોર્સ બંધ થઇ ગયો છે.

Reporter: admin







