પાણી, વીજળી, આરોગ્ય, સફાઇ, માર્ગો, ઘરથાળના પ્લોટ, રેલ્વે સહિતના પ્રશ્નો થયા ઉપસ્થિત

કલેક્ટર કચેરીમાં જિલ્લા ફરિયાદ નિવારણ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં કલેક્ટર ડો. અનિલ ધામેલિયાએ એક કરતા વધુ વિગતોને સ્પર્શતા પ્રશ્નોનો નિકાલ વિભાગીય સંકલનથી કરવા માટે સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી. ડો. ધામેલિયાએ જણાવ્યું કે, જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવતા પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવવું જોઇએ. સામુદાયિક વિકાસના કામોને અગ્રતા આપી યોજનાકીય બાબતોના અમલીકરણમાં લક્ષ્ય આપવું જોઇએ. જેથી લોકોની સમસ્યા હલ થઇ શકે છે.

આ ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં ધારાસભ્ય શૈલેષ મહેતા, અક્ષય પટેલ,ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ચૈતન્યસિંહ ઝાલા દ્વારા પાણી, વીજળી, આરોગ્ય, સફાઇ, માર્ગો, ઘરથાળના પ્લોટ, રેલ્વે સહિતની બાબતોની રજૂઆત કરવામાં આવી હતી. સંકલન સમિતિની બેઠકમાં પેન્શન, ખાતાકીય તપાસ, સરકારી નાણાની વસુલાત સહિતના વિષયોની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, પોલીસ અધિક્ષક, નિવાસી અધિક કલેક્ટર બી. એસ. પ્રજાપતિ, અધિક કલેક્ટર હિમાંશુ પારેખ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Reporter: admin







