અમદાવાદઃ ખ્યાતિ હૉસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલની ગઈકાલે અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે આજે તેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યો હતો અને 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે કાર્તિક પટેલના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. કોર્ટે 28 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. સરકારી વકીલ દ્વારા અલગ અલગ 12 મુદ્દાઓ રજૂ કરી રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. સરકારી વકીલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હોસ્પિટલમાં કાર્તિક પટેલના કહેવાથી જ તમામ કામગીરી થતી હતી.
આરોપીના વકીલ અંકિત શાહે રજૂઆતમાં જણાવ્યું હતું કે, રિમાન્ડ આપવા કે નહીં તે કેસની હકીકત અને પુરાવા પર આધારિત હોય છે. ગત વર્ષે કડીના બોરીસણા ગામે ખ્યાતિ હૉસ્પિટલ દ્વારા ફ્રી કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાંથી 19 દર્દીને ખ્યાતિ હૉસ્પિટલમાં સારવાર માટે બોલાવાયા હતા. અહીં તમામ દર્દીઓની તેમને પૂછ્યા વિના જ એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકી દેવાયા હતા. સ્ટેન્ટ મૂક્યા બાદ 70 વર્ષના સેનમ નાગરભાઈ મોતીભાઈ અને 50 વર્ષના બારોટ મહેશભાઈ ગિરધરભાઈ નામના દર્દીનું મોત નિપજ્યું હતું. જેના કારણે પરિવારજનોએ હોબાળો મચાવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.
Reporter: admin







