ભારતીય જનતા પાર્ટી (BJP)એ આગામી ખાસ સંસદ સત્રને ધ્યાનમાં રાખીને પોતાના તમામ સાંસદો માટે કડક સૂચનાઓ જાહેર કરી છે.
પાર્ટીએ લોકસભા અને રાજ્યસભાના તમામ સભ્યો માટે 'થ્રી-લાઇન વ્હિપ' જાહેર કરીને 16થી 18 એપ્રિલ સુધી ગૃહમાં ફરજિયાત હાજર રહેવા આદેશ આપ્યો છે. ભાજપ તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ સમયગાળા દરમિયાન કોઈ પણ સાંસદ કે કેન્દ્રીય મંત્રીને રજા આપવામાં આવશે નહીં અને દરેક સભ્યએ સંસદની કાર્યવાહીમાં સક્રિયપણે ભાગ લેવો પડશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ખાસ સત્ર ઐતિહાસિક 'મહિલા અનામત સુધારા બિલ' પર ચર્ચા કરવા માટે બોલાવવામાં આવ્યું છે, જે સરકાર માટે ખૂબ જ મહત્ત્વનું છે.ભાજપ દ્વારા જાહેર કરાયેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ગુરુવારથી શનિવાર સુધી તમામ સભ્યોની હાજરી અનિવાર્ય છે અને વ્હિપનું કડક પાલન કરવું પડશે. આ ખાસ સત્રને કારણે દેશમાં રાજકીય ગરમાવો પણ તેજ થયો છે. બીજી તરફ, વિરોધ પક્ષોએ સરકાર પાસે માંગ કરી છે કે આ મુદ્દે પહેલા સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવે અને સીમાંકન (Delimitation) જેવા પાસાઓ પર સ્પષ્ટતા કરવામાં આવે.
Reporter: admin







