દિલ્હી : પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ટ્રેન હાઈજેક કરનાર ભાગલાવાદી સંગઠને બલૂચ લિબરેશન આર્મી એ હવે મોટો દાવો કર્યો છે.
BLAનું કહેવું છે કે અમે તમામ 214 બંધકોને મારી નાખ્યા છે. માર્યા ગયેલા તમામ 214 બંધકો પાકિસ્તાની આર્મીના સૈનિકો હતા. BLAના આ દાવા સાથે પાકિસ્તાનની પોલ ખુલતી દેખાઈ રહી છે કેમ કે થોડા દિવસો પહેલા પાકિસ્તાને દાવો કર્યો હતો કે ટ્રેન હાઈજેક કરનારા 33 બલૂચ બળવાખોરોને મારી નાખવામાં આવ્યા છે અને તમામ બંધકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. ગત મંગળવારે બલૂચ બળવાખોરોએ બલૂચિસ્તાનના બોલાન નજીક ક્વેટાથી પેશાવર જતી જાફર એક્સપ્રેસ ટ્રેનને હાઇજેક કરી લીધી હતી.
ટ્રેનમાં 450 થી વધુ લોકો હાજર હતા, પરંતુ BLAએ વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને જવાની મંજૂરી આપી હતી.પાકિસ્તાની સેનાએ બુધવારે દાવો કર્યો હતો કે જાફર એક્સપ્રેસ ટ્રેનમાં બંધક બનાવી લેવાયેલા લોકોને મુક્ત કરાવવાન ઓપરેશનમાં તમામ 33 BLA બળવાખોરોને મારી નાખવામાં આવ્યા છે. પાકિસ્તાની સેનાએ પણ કહ્યું હતું કે અમે તમામ બંધકોને બચાવી લીધા છે. જો કે, પાકિસ્તાની સેનાએ બંધકોને મુક્ત કરવા અથવા BLAને થયેલા નુકસાન અંગે કોઈ વીડિયો કે ફોટોગ્રાફ્સ જાહેર કર્યા નહોતા. ત્યારે BLAએ પાકિસ્તાની સેનાને કેદીઓની અદલાબદલી માટે 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું.
Reporter: