વ્યાજ ખોર દંપતીએ યુવકને વ્યાજના પૈસા નહીં આપે તો તને જાનથી મારી નાખીશ...
શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા યુવકને સિક્યુરિટી સુપરવાઇઝર તથા વ્યાજનો ધંધો કરતા વ્યાજખોર અને તેની પત્નીએ વધુ વ્યાજની માંગણી કરીને ધમકી આપી હતી. આ મામલે માંજલપુર પોલીસે ગુનો નોંધી વ્યાજખોર અને તેની પત્નીને ઝડપી પાડી હતી.
વડોદરા જીઆઇડીસી રોડ ઉપરની આનંદ નગર સોસાયટીમાં રહેતો ચિરાગ કમલેશભાઈ નાગર રિક્ષા ડ્રાઇવિંગ કરે છે. ચિરાગે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે વર્ષ 2023 માં મારા છોકરાની સારવાર માટે રૂપિયાની જરૂર પડતા મારા મિત્રો દ્વારા જાણવા મળેલ છે માંજલપુર સન સીટી સરકાર પાસે સ્વાતિ સોસાયટીમાં રહેતો સિક્યોરિટી સુપરવાઇઝર અમિત અનિલ જયસ્વાલ વ્યાજે રૂપિયા આપે છે જેથી તેણે શરૂઆતમાં 10,000 રૂપિયા વ્યાજે લીધા હતા. જેની સામે 13,200 આપ્યા હતા. થોડા સમય પછી ફરીથી ચિરાગને પૈસાની જરૂર પડતા તેણે અમિત જયસ્વાલ પાસેથી 36,000 રૂપિયા લીધા હતા.
ત્યારબાદ ચિરાગની રિક્ષાના હપ્તા બાઉન્સ થતા ફાયનાન્સ વાળાએ રીક્ષા ખેંચી લીધી હતી તે છોડાવા માટે 15,000 રૂપિયા જયસ્વાલ પાસેથી તેણે લીધા હતા. અમિત જયસ્વાલે ચિરાગને કુલ રૂપિયા 40,000 ચૂકવવાનું જણાવ્યું હતું. જે રૂપિયા પૈકી 18 દિવસ સુધી ચિરાગે રોજના 1,200 લેખે 21,600 વ્યાજખોર અમિતને ચૂકવ્યા હતા. ત્યારબાદ યુવકની પત્ની બીમાર પડતા તે પૈસા આપી શક્યો ન હતો. જેથી અમિત જયસ્વાલ તથા તેની પત્ની પ્રેમલતાએ ચિરાગના ઘરે આવીને ધમકી આપી હતી કે જો તું વ્યાજના પૈસા નહીં આપે તો તને જાનથી મારી નાખીશ...આ મામલે માંજલપુર પોલીસે ગુનો નોંધી અમિત અનિલ જયસ્વાલ તથા પ્રેમલતા અમિત જયસ્વાલની ધરપકડ કરી તપાસ શરુ કરી હતી.,
Reporter: admin