મિઝોરમ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી મિઝોરમ, મણિપુર, આસામ, પશ્ચિમ બંગાળ અને બિહારના પ્રવાસે છે. તેઓ હાલમાં મિઝોરમમાં છે, જ્યાં તેમણે રાજ્યને રેલવેની ભેટ આપી છે.
વડાપ્રધાને મિઝોરમના આઈઝોલમાં 9,000 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદઘાટન કર્યું છે. તેમાં મુખ્ય છે વિશ્વ કક્ષાની માળખાગત સુવિધાઓ અને મિઝોરમમાં રેલ કનેક્ટિવિટીને મજબૂત બનાવવા માટે રૂ. 8,070 કરોડથી વધુના ખર્ચે તૈયાર બૈરાબી-સૈરાંગ રેલ લાઈન પ્રોજેક્ટ જે મિઝોરમની રાજધાનીને પ્રથમ વખત ભારતીય રેલ નેટવર્ક સાથે જોડશે.રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ શુક્રવારે મિઝોરમ પહોંચ્યા હતા અને આ નવા રેલવે પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું.
નિરીક્ષણ બાદ અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે, 'મિઝોરમને જોડવાનો પ્રોજેક્ટ ખૂબ જ મુશ્કેલ હતો. જેવી રીતે કાશ્મીરમાં ચિનાબ બ્રિજ એફિલ ટાવરથી ઊંચો છે, તેવી જ રીતે મિઝોરમમાં કુતુબ મિનારથી ઊંચો બ્રિજ બનાવવામાં આવ્યો છે.'એક પડકારજનક પહાડી વિસ્તારમાં બનેલા આ રેલવે લાઈન પ્રોજેક્ટમાં જટિલ ભૌગોલિક પરિસ્થિતિઓમાં 45 ટનલ બનાવવામાં આવી છે. આ ઉપરાંત તેમાં 55 મોટા બ્રિજ અને 88 નાના બ્રિજ પણ સામેલ છે.
Reporter:







