દિલ્હી : ઓનલાઇન બેટિંગ કેસમાં અનેક મોટા સેલેબ્સની પૂછપરછ કરવામાં આવી રહી છે. EDના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ,
ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર્સ યુવરાજ સિંહ, હરભજન સિંહ અને સુરેશ રૈના સાથે ઈડીએ પૂછપરછ કરી હતી. આ સાથે જ બોલિવૂડ કલાકાર સોનુ સૂદ અને ઉર્વશી રૌતેલા સાથે પણ આ મામલે પૂછપરછ કરવામાં આવી રહી છે. ઈડી દ્વારા હાલ આ સેલેબ્સની પૂછપરછનું કારણ એ છે કે, જે એપ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, તેનો પ્રચાર-પ્રસાર કેમ કરવામાં આવી રહ્યો છે? આ એપ્લિકેશનમાં વન બેટ, ફેયર પ્લે અને મહાદેવ ઓનલાઇન બેટિંગ પ્લેટફોર્મનો સમાવેશ થાય છે. છેલ્લાં થોડા દિવસ પહેલાં કોલકાતામાં EDએ મની લૉન્ડરિંગ એક્ટ હેઠળ એક મોટા ઓનલાઈન સટ્ટાબાજ અને મની લોન્ડરિંગ રેકેટનો પર્દાફાશ કર્યો હતો.
આ રેકેટને ઉજાગર કરવા માટે પશ્ચિમ બંગાળ સહિત દિલ્હી, બિહાર, ઉત્તર પ્રદેશ અને આસામમાં અનેક ઠેકાણાઓએ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન મોટી સંખ્યામાં ઇલેક્ટ્રોનિક ડિવાઇસ અને શંકાસ્પદ દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, આ ઓપરેશન દરમિયાન EDએ 766 બેન્ક એકાઉન્ટ અને 17 ડેબિટ તેમજ ક્રેડિટ કાર્ડ ફ્રીઝ કરી દીધા છે. આ એકાઉન્ટનો ગેરકાયદે સટ્ટાબાજી સાથે જોડાયેલા પૈસાની લેતીદેતી માટે ઉપયોગ થઈ રહ્યો હતો. EDએ વિશાલ ભારદ્વાજ અને સોનું કુમાર ઠાકુર નામના બે આરોપીઓની PMLA હેઠળ ધરપકડ કરી હતી. બંનેને કોલાકાતાની વિશેષ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને 10 દિવસની કસ્ટડીમમાં મોકલવામાં આવ્યા હતા.
Reporter: admin