વડોદરા : સ્વામિનારાયણ મંદિર, વડોદરા દ્વારા શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત સત્સંગ પોષક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

વર્તમાન વર્ષ એ પવિત્ર શિક્ષાપત્રી ગ્રંથની દ્વિશતાબ્દી તરીકે ઉજવાઈ રહ્યું છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન દ્વારા રચાયેલ આ પવિત્ર શાસ્ત્રે સત્સંગી જનમાત્ર માટે જીવન માર્ગદર્શન પૂરું પાડ્યું છે. સમગ્ર સંપ્રદાય દ્વારા વિવિધ સ્થળોએ ભવ્ય સમારોહોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે પવિત્ર અવસરે શ્રી સદગુરુ દિન તથા સત્સંગ પોષક શિબિરનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરનું આયોજન શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જિતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂર્વ મહંત હરિકેશવ દાસ સ્વામી, મહંત સનાતન સ્વરૂપદાસ સ્વામી તથા શ ગુરુપ્રિયદાસ સ્વામીના માર્ગદર્શન અને પવિત્ર સાનિધ્યમાં થયું હતું.

આજવા સ્થિત દિવ્ય સૃષ્ટિ ફાર્મમાં આ શિબિરનું ઉમંગભેર આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરનું મુખ્ય લક્ષ્ય સત્સંગ પોષકોને આધ્યાત્મિક રીતે વધુ સશક્ત બનાવવાનું હતું તથા તેમને શિક્ષાપત્રીના જીવનમાં ઉપયોગી સૂત્રોને જીવનમાં ઉતારવા પ્રેરિત કરવાનો હતો. હર્ષોલ્લાસપૂર્વક રમતોમાં સહભાગી થતાંહરિભક્તોએ ભૌતિક ઉર્જાની સાથે પરસ્પર પ્રેમ અને સહકારનો અનુભવ કર્યો હતો. ગુરુદેવ મુક્તજીવન સ્વામીબાપાના દિવ્ય આશીર્વાદ પ્રાપ્ત કરી, દરેક હરિભક્તે સંતવાણી - કથા વાર્તા અને કીર્તન ભક્તિના આધ્યાત્મિક અમૃતનો લ્હાવો માણ્યો હતો. આ શુભઅવસરે શ્રદ્ધાપૂર્વક સદ્ગુરુ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જ્યાં હરિભક્તોએ ગુરુદેવ સ્વામીબાપાના અનંત ઉપકારોને સસ્મિત સ્મરી, ભાવભરી કૃતજ્ઞતા સાથે ચરણોમાં નમન કર્યું હતું. સૌ સંતો અને હરિભકતો આરતીમાં ભાવવિભોર થઇ, અંતે મહાપ્રસાદના પાવન લાભથી શિબિરનો અધ્યાત્મસ્નેહથી યુક્ત સમાપન કર્યો હતો.





Reporter: admin