પટના : બિહાર વિધાનસભા 2025ની ચૂંટણીના પરિણામો બાદ રાષ્ટ્રીય જનતા દળ (RJD)એ સોમવારે (17મી નવેમ્બર) પટણામાં સમીક્ષા બેઠક યોજી હતી.
આ બેઠકમાં તેજસ્વી યાદવને સર્વસંમતિથી વિધાનસભા પક્ષના નેતા અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે ફરીથી ચૂંટવામાં આવ્યા હતા. જો કે, બેઠક બાદ RJDના વરિષ્ઠ નેતાઓના ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) અંગેના નિવેદનોથી રાજકીય વાતાવરણ ગરમાયું છે.સમીક્ષા બેઠક બાદ મીડિયા સાથે વાત કરતાં પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જગદાનંદ સિંહે EVMને લઈને ચોંકાવનારો દાવો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, 'અમને અપેક્ષા નહોતી કે ચૂંટણીમાં RJDને આવી દુર્દશાનો સામનો કરવો પડશે. EVMમાં આશરે 25,000 મત પહેલાથી જ હતા. છતાં અમારા 25 ધારાસભવોનો વિજય અમારા માટે સૌભાગ્યની વાત છે.
તેમના નિવેદનથી ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતા પર સીધો સવાલ ઉઠાવવામાં આવ્યોછે.જગદાનંદ સિંહે લોકશાહી પ્રક્રિયામાં કથિત છેડછાડ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, 'જો લોકશાહી પ્રક્રિયા સાથે છેડછાડ કરવામાં આવે તો દેશ કઈ દિશામાં જશે? શાસક પક્ષે પરિસ્થિતિ બદલવા માટે ખાસ પગલાં લીધા છે. શું લોકશાહી એક એવો વ્યવસાય છે જ્યાં છેતરપિંડી ચાલુ રહી શકે છે? EVM સાથે છેડછાડ ચૂંટણી પરિણામોને પ્રભાવિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.'
Reporter: admin







