વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાના 23 દિવસ બાદ પુલ પર લટકેલી ટેન્કર નીચે ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ટેન્કર નીચે ઉતારવાની જવાબદારી આણંદ કલેક્ટરને સોંપવામાં આવી છે.
પોરબંદરની એક ખાનગી કંપનીને આ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જેમાં બલૂન ટેક્નોલોજીની મદદથી ટેન્કર નીચે ઉતારવામાં આવશે. મળતી માહિતી મુજબ, આ પ્રક્રિયામાં ક્રેનની મદદ લેવામાં નહીં આવે.આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે, 'આ રેસ્ક્યૂ ઓપરેશન જોખમી છે પરંતુ, માનવની સંડોવણી પણ થવાની છે. ત્યારે જીવનું જોખમ ન થાય તે રીતે આયોજન કરાયું છે. બલૂન ટેકનોલોજી અને નેના મીટરની થીકનેસવાળી ટયૂબો મૂકીને ટેન્કરને ઉપાડી લેવામાં આવશે.
જ્યારે કોઈ મોટું વાહન નદીમાં પડી જાય, ખીણમાં ખાબકે કે પછી ખતરનાક જગ્યા પર ફસાઈ જાય, ત્યારે તેને સલામત રીતે બહાર કાઢવા માટે જે ટેક્નોલોજી વપરાય છે તેમાં એર લિફ્ટિંગ બલૂન ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે. આ ટેક્નોલોજી હવામાં ભરેલા વિશેષ પ્રકારના બલૂન્સ (એરબેગ્સ) નો ઉપયોગ કરે છે, જે ભારી વાહનો જેમ કે ટ્રક, બસ, કે કારને સ્થિર કરી શકે છે, ઊંચકીને સપાટી પર લાવી શકે છે અથવા પાણીમાંથી બહાર કાઢી શકે છે.
Reporter:







