અમદાવાદ: ધોળકા ખાતે આવેલી કેડિલા ફાર્માસ્યુટિકલ્સ કંપનીમાં વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં કંપની વોશરૂમમાં એક મહિલા કર્મચારીનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ત્રણ વ્યક્તિને બેભાન થઇ જતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં કંપનીના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હાલમાં મૃતક મહિલાના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ મામલે તપાસનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. એફ.એસ.એલ. ની પણ મદદ લેવામાં આવી છે. મળતી માહિતી અનુસાર ધોળકા નજીક આવેલી કેડિલા ફાર્માસ્યુટિકલ્સ કંપનીના વોશરૂમમાં કામ કરતી વખતે ત્રણે મહિલા કર્મચારીઓ અને એક પુરૂષ કર્મચારી બેભાન થઇને નીચે પડી હતા. અચાનક સર્જાયેલી આ દુર્ઘટના બાદ ચારેય બેભાન કર્મચારીઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં કંપનીના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના દોડી આવ્યો હતો. જોકે બેભાન 3 કર્મચારીઓના જીવ બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે એક મહિલા કર્મચારી વર્ષાબેન રાજપુતનું નિધન થયું છે. આ બનાવને પગલે મૃતક મહિલા વર્ષાબેન રાજપુતના પરિવારજનોએ મૃતદેહ સ્વિકારવાની મનાઇ કરી છે. તેમની માંગણી છે કે જ્યાં સુધી જવાબદાર અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી નહી થાય ત્યાં સુધી મૃતદેહ સ્વિકારવામાં આવશે નહી. પરિવારજનોએ કંપની પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે અને તટસ્થ તપાસની માંગ કરી છે.
Reporter: admin







