News Portal...

Breaking News :

ચાતુર્માસમાં આવતા શ્રાવણમાં પાલક કે પાંદડાવાળા શાકભાજી ભાદરવા મહિનામાં દહીં, આસો મહિનામાં દૂધ

2024-07-17 15:05:02
ચાતુર્માસમાં આવતા શ્રાવણમાં પાલક કે પાંદડાવાળા શાકભાજી ભાદરવા મહિનામાં દહીં, આસો મહિનામાં દૂધ


વડોદરા: આજથી ચાતુર્માસ શરૂ થયો છે. દર વર્ષે અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિ થી ચાતુર્માસ શરૂ થાય છે, જે કારતક માસના શુક્લ પક્ષની એકાદશી સુધી ચાલુ રહે છે. 


આ સમયગાળા દરમિયાન, ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં જતા રહે છે અને બ્રહ્માંડનું સંચાલન ભગવાન શિવના હાથમાં આવે છે.ચાતુર્માસમાં શ્રાવણ, ભાદરવો, આસો અને કારતક માસનો સમાવેશ થાય છે. ચાતુર્માસમાં મુંડન સંસ્કાર,લગ્ન,તિલક,યજ્ઞોપવીત વગેરે જેવા 16 શુભ કાર્યો કરવામાં આવતા નથી. દેવઉઠી એકાદશી પર ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાંથી બહાર આવે છે પછી શુભ કાર્યો ફરીથી શરૂ કરવામાં આવે છે.હિંદુ કેલેન્ડર મુજબ આ વર્ષે ચાતુર્માસ બુધવાર 17 જુલાઈથી એટલે કે આજથી શરૂ થઈ રહ્યો છે.ચાતુર્માસ ચાર મહિના સુધી ચાલુ રહેશે.આ વર્ષે દેવઉઠી અગિયારસ 12 નવેમ્બરના રોજ છે. 12 નવેમ્બર મંગળવારે દેવઉઠી એકાદશીના રોજ ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાંથી બહાર આવશે ત્યારે ચાતુર્માસ પૂરો થશે અને લોકો મંગળ કાર્યોની શરૂઆત કરશે.


ચાતુર્માસને ઉપવાસ અને વ્રત તપના મહિનો કહેવામાં આવે છે. આ ચાર મહિના દરમિયાન,સંતો પ્રવાસ કરવાનું બંધ કરે છે અને મંદિરમાં અથવા તેમના મૂળ સ્થાને રહીને ઉપવાસ અને ધ્યાન કરે છે. આ સમયે ફક્ત બ્રજ ધામની જ મુલાકાત લઈ શકાય છે.ચાતુર્માસમાં આવતા શ્રાવણ મહિનામાં પાલક કે પાંદડાવાળા શાકભાજીને ટાળવામાં આવે છે.આ પછી ભાદરવા મહિનામાં દહીં, આસો મહિનામાં દૂધ અને કારતક મહિનામાં લસણ અને ડુંગળીનો ત્યાગ કરવામાં આવે છે. ચાતુર્માસ દરમિયાન મધ, મૂળા, પરવલ અને રીંગણ ખાવાનું ટાળવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે ચાતુર્માસ મહિનામાં આપણું ભોજન સંપૂર્ણ રીતે સાત્વિક હોવું જોઈએ.

Reporter: admin

Related Post