કિવ: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લગભગ ચાર વર્ષ થઈ ગયા છે, છતાં કોઈ પક્ષ પીછેહઠ કરવા તૈયાર નથી.
તાજેતરમાં, રશિયાએ યુક્રેનની રાજધાની કિવ પર મોટો હુમલો કર્યો છે. યુક્રેનનો દાવો છે કે આ હુમલામાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા છે અને 48 લોકો ઘાયલ થયા છે, જેમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે. આ હુમલામાં અનેક રહેણાંક ઇમારતો અને ઑફિસ સેન્ટર્સને નુકસાન થયું છે, જેમાં યુક્રેનમાં યુરોપિયન યુનિયન(EU)ના પ્રતિનિધિમંડળની ઇમારત પણ સામેલ છે.
આ હુમલાની યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ સખત નિંદા કરી છે. તેમણે કહ્યું કે આ હુમલા માટે માત્ર યુરોપીયન યુનિયન જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ દ્વારા નિંદા થવી જોઈએ. તેમણે રશિયા પર નવા અને કડક પ્રતિબંધો લાદવાની પણ માંગ કરી. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનએ પણ આ હુમલાની નિંદા કરતાં કહ્યું કે રશિયાએ એક જ રાતમાં 629 મિસાઇલો અને ડ્રોન છોડ્યા, જે આતંક અને બર્બરતા દર્શાવે છે.રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે, અમે અમારા તમામ લક્ષ્યો હાંસલ કરી લીધા છે. અમે હુમલો કરવા માટે હાઇપરસોનિક કિંજલ મિસાઇલ, ડ્રોનનો ઉપયોગ કર્યો છે. રશિયા યુક્રેન પર હુમલા કરવાનું ચાલુ રાખશે કારણ કે યુક્રેન પણ રશિયાના રહેણાંક વિસ્તારોને ટાર્ગેટ કરી રહ્યું છે.’ જોકે, રશિયાએ એ પણ કહ્યું કે તે રાજકારણ અને કૂટનીતિ દ્વારા પોતાના લક્ષ્યો હાંસલ કરવા માટે હજુ પણ વાતચીત માટે તૈયાર છે.
Reporter: admin







