જયપુર: પાકિસ્તાન સામે સ્ટ્રાઈક કર્યા બાદ દેશભરમાં પાક શબ્દ સામે જબરજસ્ત વિરોધ ઉઠી રહ્યો છે, મીઠાઈમાંથી પાક શબ્દ કાઢીને હવે શ્રી અથવા ભારત નામના શબ્દનો ઉપયોગ શરૂ થયો છે.

રાજસ્થાનના જયપુરમાં મીઠાઈના વેપારીઓએ દેશમાં પાકિસ્તાન વિરોધી આક્રોશને ધ્યાનમાં રાખીને મીઠાઈના નામમાંથી 'પાક' શબ્દ હટાવ્યો છે. જેમાં તેમણે જયપુરની લોકપ્રિય મીઠાઈ 'મૈસૂર પાક' નું નામ 'મૈસૂર શ્રી' અને 'મોતી પાક' મીઠાઈનું નામ 'મોતી શ્રી' કર્યું છે. જયપુરમાં સૌથી વધુ લોકપ્રિય ત્રણ મુખ્ય દુકાનોએ પોતાની પારંપરિક મીઠાઈના નામ બદલીને સંપૂર્ણપણે 'પાક' શબ્દ હટાવીને તેની જગ્યાએ 'શ્રી'નો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં હવે 'આમ પાક'ને 'આમ શ્રી', 'ગોંદ પાક'ની જગ્યાએ 'ગોંદ શ્રી' કરી દેવામાં આવ્યું છે.પહલગામ આતંકવાદી હુમલા અને 'ઓપરેશન સિંદૂર' હેઠળ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર ભારતની લશ્કરી કાર્યવાહીને પગલે દેશભક્તિની ભાવના દર્શાવવા માટે 'સ્વર્ણ ભસ્મ પાક' અને 'ચંડી ભસ્મ પાક' ના નામ હવે 'સ્વર્ણ શ્રી' અને 'ચંડી શ્રી' રાખવામાં આવ્યા છે.
જયપુરના વૈશાલી નગર વિસ્તારમાં પ્રખ્યાત મીઠાઈની દુકાન 'ત્યોહર સ્વીટ્સ'ના માલિક અંજલી જૈને કહ્યું કે, 'રાષ્ટ્રીય ગૌરવ તેમની વાનગીઓમાં પણ પ્રતિબિંબિત થવું જોઈએ. દેશભક્તિની ભાવના ફક્ત સરહદ પર જ નહીં, પરંતુ દરેક ભારતીયના ઘર અને હૃદયમાં પણ હોવી જોઈએ. આ નિર્ણય ફક્ત શબ્દોનો નથી પરંતુ લાગણીઓનો વિષય છે. ગ્રાહકો પણ આ નિર્ણયની પ્રશંસા કરી રહ્યા છે અને બદલાયેલ નામ જોઈને ખુશ છે.'દુકાનદારોએ જેમાં પોતાની મીઠાઈઓના નામમાં 'પાક' શબ્દ સાથે જોડાયેલી તમામ મીઠાઈના નામ બદલી નાખ્યા છે. બોમ્બે મિષ્ટાન ભંડારના જનરલ મેનેજર વિનીત ત્રિખાએ જણાવ્યું હતું કે, 'અમે સ્પષ્ટ સંદેશ આપવા માંગીએ છીએ કે ભારત તરફ આંખ ઉંચી કરવાની હિંમત કરનારાઓના નામ ભૂંસી નાખવામાં આવશે અને દરેક ભારતીય પોતાની રીતે જવાબ આપશે. આ આપણો મીઠો, પ્રતીકાત્મક બદલો છે. મીઠાઈઓના નામમાં ફેરફાર ગ્રાહકો દ્વારા પ્રશંસા પામ્યો છે.'
Reporter: admin







