સુરત: મહાનગરપાલિકાના એક વિવાદી પદાધિકારી અને સ્થાનિક કોર્પોરટેરના ભરોસે સુરત હજીરા રોડ પર ગેરકાયદે સર્કલ બનાવનારી સંસ્થા બરોબરની ભેરવાઈ છે.
મેયરની સુચના બાદ પાલિકાના કડક વલણના કારણે રાત્રીના અંધારામાં આખું સર્કલ સંસ્થાએ દુર કરવાની ફરજ પડી છે. આ સર્કલ દૂર કરાયા બાદ પાલિકાના પદાધિકારીના નામે વધુ એક વિવાદ જોડાઈ ગયો છે. સુરત-હજીરા રોડ પર પાલ હવેલી પાસે પાલિકાની કોઈ પણ જાતની મંજૂરી વિના યશ્વી ફાઉન્ડેશન દ્વારા ગેરકાયદે સર્કલ બનાવી દેવાયું હતું. આ પહેલાં દિવાળી અને નાતાલમાં પણ કોઈ પણ જાતની મંજૂરી વિના જ સર્કલ પર રોશની કરવા સાથે સંસ્થાની જાહેરાત કરવામાં આવી હતી. કોઈ પણ જાતની મંજૂરી વિના સર્કલ બનાવવાની હિંમત સંસ્થાને પાલિકાના એક વિવાદી પદાધિકારી અને સ્થાનિક કોર્પોરેટરના સપોર્ટના કારણે આવી હતી.
પાલિકાએ આ સર્કલ દૂર ન થાય તો ડિમોલીશન કરવાની ચીમકી આપી હતી. તેમ છતાં આ સર્કલ બચાવવા માટે શાસક પક્ષના પદાધિકારી ભારે ધમપછાડા કર્યા હતા. પરંતુ પાલિકાએ કડકાઈ દાખવતા પદાધિકારી અને કોર્પોરેટરની છત્રછાયામાં સર્કલ બનાવનાર એજન્સીએ રાત્રીના અંધકારમાં સર્કલ દૂર કરી દીધું હતું. આમ વિવાદી પદાધિકારીના ભરોસો ગેરકાયદે સર્કલ બનાવનાર એજન્સી હવે ભરપેટ પસ્તાઈ રહી છે.ઓપરેશન સિંદૂરની સફળતા બાદ આ સંસ્થાએ પાલ હજીરા રોડ પર ઓપરેશન સિંદૂરની થમ પર બનાવેલું સર્કલ ટ્રાફિક માટે અડચણરૂપ હતું. શાસક પક્ષના એક પદાધિકારી અને સ્થાનિક કોર્પોરેટરના દમ પર બનાવી દેવાયું હતું. જોકે, સાંસદે સર્કલ માટે પત્ર લખતા આ સર્કલ ગેરકાયદે હોવાનું બહાર આવ્યું હતું. મેયરની સૂચના બાદ પાલિકા તંત્રએ નોટિસ આપી હતી પરંતુ વિવાદી પદાધિકારીના દબાણના કારણે ઝોનલ ઓફિસર રજા પર ઉતરી ગયા હતા.
Reporter: admin







