જૈસલમેર: દિવાળીના તહેવાર પહેલા રાજસ્થાનમાં એક કંપારી છૂટાવે તેવી ઘટના બની છે. રાજસ્થાનના જૈસલમેર જિલ્લામાં મંગળવારે બપોરે 57 મુસાફરો સવાર એક ખાનગી બસમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના બની, જેના કારણે 20થી વધુ લોકોના મોત થયાની આશંકા છે.
આ દુર્ઘટના ઘટનાના પગલે મુખ્યમંત્રી ભજનલાલ ઘટના સ્થળે પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે.આ ગમખ્વાર ઘટના જૈસલમેર-જોધપુર હાઈવે પર બપોરે બની હતી. માહિતી મુજબ બસમાં કુલ 57 મુસાફરો સવાર હતા. જૈસલમેરથી ઉપડેલી બસ લગભગ 20 કિલોમીટર દૂર પહોંચી, ત્યારે તેમાં અચાનક પાછળના ભાગમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. ડ્રાઈવર બસ ઉભી રાખે તે પહેલાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને મિનિટોમાં જ આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી. બસમાં અફરાતરફી મચી હતી અને ચીચીયારીઓથી રોડ ગૂંજી ઉઠ્યો હતો.રિપોર્ટ મુજબ, ખાનગી બસમાં ફટાકડાનું ગેરકાયદે પરિવહન કરવામાં આવી રહ્યું હતું, જેના કારણે શોર્ટ સર્કિટથી વિકરાળ આગ લાગી હોવાનું સામે આવ્યું છે.
જોકે પોલીસ આગના ચોક્કસ કારણની તપાસ કરી રહી છે.આગ લાગતાની સાથે જ મુસાફરોએ બચવા માટે બારીઓ તોડીને બહાર કૂદવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન આસપાસના ગ્રામજનો અને રાહદારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને મદદ શરૂ કરી દીધી હતી. ફાયર બ્રિગેડની ગાડીઓએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો. દાઝી ગયેલા મુસાફરોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યારે ગંભીર રીતે દાઝેલા લોકોને જોધપુર રિફર કરવામાં આવ્યા હતા.જૈસલમેરની ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે, રાજસ્થાનના જૈસલમેરમાં થયેલી દુર્ઘટનામાં જાનહાનીથી દુઃખી છુ.
Reporter: admin







