વડોદરા: જિલ્લાના વાઘોડિયા તાલુકામાં સુખલીયાપુરા ખાતેની જમીન વેચાણથી આપી દેવાનો વિશ્વાસ જતાવીને રૂ. 1 કરોડથી વધુની રકમની છેતરપિંડીનો મામલો પોલીસ મથક પહોંચ્યો હતો.
જે બાદથી ભાજપના નેતા અને પૂર્વ શિક્ષણ સમિતી ચેરમેન દિલીપસિંહ ગોહિલ અને કમલેશ દેત્રોજા ફરાર હતા. વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ બાતમીના આધારે કમલેશ દેત્રોજાને તેના નિવાસ સ્થાનેથી દબોચી લીધો છે. જ્યારે આ મામલે ભાજપના નેતા ફરાર છે. સુખલીયાપુરાની જમીન વેચવાના બહાને બે લોકો જોડે છેતરપિંડી કરવામાં આવી હતી. જે પૈકી એક કેસમાં ફરિયાદી ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા છે.વડોદરા ગ્રામ્યમાં આવતા વાઘોડિયાના સુખલીયાપુરા ગામે આવેલી મોકાની જમીનનું કૌભાંડ તાજેતરમાં સપાટી પર આવ્યું હતું.
આ મામલે સૌ પ્રથમ ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા દ્વારા સમા પોલીસ મથકમાં દિલીપસિંહ ગણપતસિંહ ગોહિલ અને કમલેશ દેત્રોજા વિરૂદ્ધમાં સમા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યાર બાદ પૂજારીએ આ જમીન વેચાણના નામે તેમની પાસેથી રૂ. 1 કરોડ પડાવ્યા હોવાની ફરિયાદ પોલીસને આપી હતી. જે મામલે ગતરોજ વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઇ છે. આરોપી પૈકી એક દિલીપસિંહ ગોહિલ ભાજપના નેતા છે, અને તેઓ નગર પ્રાથમિક સમિતીના પૂર્વ ચેરમેન પણ રહી ચૂક્યા છે.ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાતા ટીમો એક્ટીવ થઇ હતી. દરમિયાન કમલેશ દેત્રોજા પોતાના અટલાદરા સ્થિત નિવાસ સ્થાને હોવાની બાતમી મળતા ટીમ પહોંચી હતી. અને તેની ધરપકડ કરવામાં આવી છે. જે બાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સહ આરોપીને પકડી પાડવાની સાથે છેતરપિંડી આચરીને પડાવી લીધેલા નાણાં રીકવર કરવા માટેની તજવીજ પણ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે આરોપી દિલીપસિંહ ગોહિલ આજે પણ પોલીસની પકડથી દુર છે.
Reporter: admin