ધરખમ લૂંટ બાદ વિમાન ભાડાં પર કેન્દ્રની લગામ હવાઈ ભાડાં રૂ. 80,000ને પાર થતાં ઉડ્ડયન મંત્રાલય સફાળુ જાગ્યું
દિલ્હી : ઘરેલુ એરલાઈન ઈન્ડિગોની ફ્લાઈટના સંચાલનમાં બેદરકારીના પગલે સતત પાંચમા દિવસે શનિવારે ૮૫૦થી વધુ ફ્લાઈટ રદ કરાઈ હતી. વ્યાપક પ્રમાણમાં ફ્લાઈટ્સ રદ થવાથી દેશના વિવિધ એરપોર્ટ્સ પર હજારો પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આ કટોકટીના કારણે ઘરેલુ ફ્લાઈટ્સના ભાવમાં અનેક ઘણો વધારો થતાં કેન્દ્ર સરકારે શનિવારે હવાઈ ભાડાં પર નિયંત્રણો લાદી દીધા છે અને ઈન્ડિગોને રવિવાર સાંજ સુધીમાં ગ્રાહકોને રિફન્ડ ચૂકવવા આદેશ આપ્યો છે. વધુમાં ઘરેલુ ઉડ્ડયન બજારમાં ૬૦ ટકાથી વધુ હિસ્સો ધરાવતી ઈન્ડિગોએ એફડીટીએલ નિયમોના અમલ મુદ્દે કેન્દ્ર સરકારને ઘૂંટણીયે લાવી દીધી હોવાની સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે ત્યારે આ કટોકટી દૂર કરવા છેક પાંચમા દિવસે પીએમઓ સક્રિય થયું છે.
કેન્દ્ર સરકારે ઈન્ડિગોના સીઈઓ પીટર એલ્બર્સનું રાજીનામું લેવાની તૈયારી કરી હોવાની અટકળો છે.દેશમાં નાગરિક વિમાનોના ઉડ્ડયન ક્ષેત્રના નિયમનકાર ડીજીસીએએ ફ્લાઈટ ડયુટી ટાઈમ લિમિટેશન્સ (એફડીટીએલ)ના નવા નિયમોના અમલના પગલે મંગળવારથી ઈન્ડિગો એરલાઈન્સે તેની ફ્લાઈટ્સ રદ કરવાનું શરૂ કર્યું, જે દિવસે ને દિવસે વધતી ગઈ. શુક્રવારે કંપનીએ એક જ દિવસમાં ૧,૦૦૦ ફ્લાઈટ રદ કરી હતી. શનિવારે પણ કંપનીએ ૮૫૦થી વધુ ફ્લાઈટ રદ કરવી પડી હતી.ભારતીય ઘરેલુ ઉડ્ડયન બજારમાં ૬૦ ટકાથી વધુનો હિસ્સો ધરાવતી ઈન્ડિગોએ શનિવારે પાંચ દિવસમાં કુલ ૩૦૦૦થી વધુ ફ્લાઈટ્સ રદ કરતા ત્રણ-સાડા ત્રણ લાખથી વધુ પ્રવાસીઓ રઝળી પડયા હતા. જોકે, ડીજીસીએએ શુક્રવારે ઈન્ડિગોને એફડીટીએલ નિયમના અમલમાં ફેબુ્રઆરી ૨૦૨૬ સુધીની છૂટ આપ્યા પછી હવે પરિસ્થિતિ ધીમે ધીમે સુધરી રહી છે.
Reporter: admin







