નાના ગુનાઓ માટે સજાનું સ્વરૂપ બદલાશે: દંડ એટલે કે પેનલ્ટી લેવાશે
સરકારી વિભાગો અને સામાન્ય લોકો વચ્ચે કાનૂની વિવાદોને ઉકેલાશે
ગાંધીનગર :વિધાનસભાનું ચોમાસુ સત્ર 8 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. જેમાં વિધાનસભામાં ગુજરાત જન વિશ્વાસ બિલ રજૂ કરવામાં આવશે. ઉદ્યોગપ્રધાન બળવંતસિંહ રાજપૂત દ્વારા વ્યાપારના સરળીકરણના સંદર્ભમાં બિલ રજૂ કરાશે. આ ઐતિહાસિક બિલમાં નાના ગુનાઓ માટે સજાનું સ્વરૂપ બદલાયું છે. જેમાં નાના ગુનાઓમાં સજાને બદલે હવે દંડ એટલે કે પેનલટી ફટકારવામાં આવશે. 11 વિભાગ અને 500 પ્રકારના ગુનામાં દંડની જોગવાઈ લાગુ પડશે. આ નવી જોગવાઈ કોર્ટ, જેલ અને પોલીસની કામગીરીનું ભારણ ઘટાડશે.નાના ગુના માટે કેદની સજાના ડરથી રોકાણકારોનો વિશ્વાસ ડગતો હોવાથી આ સુધારો કરવામાં આવ્યો છે.
આવા સંજોગોમાં નાના ગુનાને બિન ગુનાહિત ગણીને તેને બદલે નાણાકીય દંડની જોગવાઈ કરાઈ છે. પરવાનગી વગર બાંધકામ, નગરપાલિકામાં વેરો ન ભર્યો હોય, સરકારી જમીન પર દબાણ, પરવાનગી વગર રસ્તાઓ પર ખોદાતા ખાડા જેવા ગુના માટે પ્રતિ દિવસ લેખે દંડની ગણતરી કરવાની જોગવાઈ છે. આ બિલનો મુખ્ય હેતુ લોકોને વધુ વિશ્વાસ સાથે કાયદાનું પાલન કરવા પ્રોત્સાહિત કરવાનો છે.નાના ગુનાઓનું અપરાધીકરણ દૂર કરવું: આ બિલ હેઠળ, કેટલાક કાયદાકીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા બદલ થતી જેલની સજાને નાણાકીય દંડમાં રૂપાંતરિત કરવામાં આવશે. આ બિલથી વેપાર-ધંધા અને રોજિંદા જીવનમાં પડતી મુશ્કેલીઓ ઓછી થશે. તેનાથી સામાન્ય નાગરિકોને વારંવાર કોર્ટ-કચેરીના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે.આ બિલનો હેતુ સરકારી વિભાગો અને સામાન્ય લોકો વચ્ચે કાનૂની વિવાદોને સરળતાથી ઉકેલવાનો છે, જેનાથી ન્યાયતંત્ર પરનો બોજ પણ ઓછો થશે.
Reporter: admin







