કોલવેઝી: કોંગોના કોલવેઝી એરપોર્ટ પર એક સરકારી મંત્રીનું વિમાન લેન્ડ કરતી વખતે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ દુઃખદ ઘટનાનો વીડિયો ઘણો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં વિમાન રનવે પર ઉતરતાની સાથે જ આગના ગોળામાં ફેરવાઈ જતું દેખાય છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, આ અકસ્માત સમયે વિમાનમાં દેશના ખનન મંત્રી લુઈસ વાટમ કાબામ્બા તેમજ ટોચના અધિકારીઓનું એક પ્રતિનિધિમંડળ સવાર હતું. આ ઉડાનનું સંચાલન એરજેટ અંગોલા દ્વારા કરવામાં આવતું હતું અને આગ લાગેલું વિમાન એમ્બ્રેયર ઈઆરજે-145એલઆર (રજિસ્ટ્રેશન D2-AJB) હતું.વિમાને કિંશાસાથી લુઆલાબા પ્રાંતના કોલવેઝી માટે ઉડાન ભરી હતી. સોમવારના રોજ, કોલવેઝીના રનવે 29 પર પ્લેન ઉતર્યું ત્યારે તેના પાછળના ભાગમાં આગ લાગી ગઈ હતી. આ ઘટનાના રૂંવાડા ઊભા કરી દેનારા વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે.
મંત્રીના સંચાર સલાહકાર, ઈસાક ન્યેમ્બોએ આ વાતની પુષ્ટિ કરી હતી કે લુઆલાબા પ્રાંતના કોલવેઝી એરપોર્ટ પર લેન્ડ કરતી વખતે વિમાન રનવે પરથી ઉતરી ગયું હતું. જોકે, રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં મુસાફરો કે ક્રૂના કોઈ પણ સભ્યનું મૃત્યુ થયું નથી.માહિતી મુજબ, આગ લાગવાને કારણે આખું જેટ વિમાન નષ્ટ થઈ ગયું છે. હાલમાં, તપાસકર્તાઓ એ જાણકારી મેળવી રહ્યા છે કે આ અકસ્માત પાછળના સંભવિત કારણો શું હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, મંત્રી કોલવેઝી નજીકની કાલોન્ડો ખાણની મુલાકાત લેવાના હતા, જ્યાં 15 નવેમ્બરના રોજ ભારે વરસાદને કારણે પુલ તૂટી જતાં ડઝનબંધ શ્રમિકોનાં મોત થયાં હતાં.
Reporter: admin







