News Portal...

Breaking News :

ચર્ચા પર ચર્ચા,તારીખ પે તારીખ

2025-08-23 10:23:36
ચર્ચા પર ચર્ચા,તારીખ પે તારીખ

120 દિવસ પછી ફરી એક વાર કમિશનર પહોંચ્યા માંડવી દરવાજે..

વર્ષો સુધી નેતાઓ ઐતિહાસિક વારસા ઉપર રાજકારણ રમ્યા.ટીમ વડોદરાએ પણ હેરિટેજનાં નામે ગાણાં ગાયા.હવે બધા ગાયબ.આખરે બધી જવાબદારી કમિશનરના શીરે આવી.

ઐતિહાસીક વારસાને ઝડપથી બચાવો નહીંતર ઇતિહાસ તમને ક્યારેય માફ નહી કરે. 
વડોદરામાં રહેલા ઐતિહાસીક વારસા સમા તમામ હેરિટેજ બિલ્ડીંગની જાળવણી અને નિભાવણી કરવામાં વડોદરા કોર્પોરેશન સદંતર નિષ્ફળ ગયું છે. વારંવાર કોર્પોરેશનનું ધ્યાન દોરવા છતાં કોર્પોરેશન દ્વારા કોઇ જ કામગીરી કરાતી ન હતી અને છેલ્લા કેટલાક દિવસથી અહેવાલો પ્રસારીત કર્યા બાદ 120 દિવસ પછી ફરી મ્યુનિ કમિશનર અરુણ બાબુ હેરીટેજ એક્સપર્ટને સાથે રાખીને આજે માંડવી દરવાજા ઉપર ગયા હતા અને નિરીક્ષણ કરી પિલરને સપોર્ટ આપવાની વાત કરી હતી,ત્યારબાદ ટેન્ડર બહાર પાડી રિસ્ટોરેશનની કામગીરી કરાશે તેમ કહ્યું હતું. સ્માર્ટ સિટી વડોદરામાં નિર્ણયો એટલા મોડા લેવાય છે કે તેનું ધાર્યું પરિણામ પણ મળી શકતું નથી. હજુ તો ટેન્ડર ખુલશે. પછી વર્ક ઓર્ડર અપાશે. હજુ પણ કમિશનર તો હજી ઇન્સ્પેક્શન-સપોર્ટ-ટેન્ડરની-ત્યારબાદ જ-તે કોન્ટ્રાક્ટરને કામગીરી સોંપાશે. હજી તો શોર્ટ ટર્મ- લોંગ ટર્મ રેસ્ટોરેશનની વાત કરે છે. ભુતકાળમાં ચાર દરવાજાના રિનોવેશનના નામે કોર્પોરેશનને ચૂનો ચોપડનાર કોન્ટ્રાક્ટર સવાણી હેરિટેજ ,મુંબઈ જો આ વખતે પણ ટેન્ડર ભરશે અને તેને કામ જો અપાયું તો કામમાં ભલીવાર રહેશે નહી. તેથી તેને અત્યારથી જ બ્લેક લિસ્ટ કરી દેવો જોઇએ. ભુલથી પણ નવા ટેન્ડરમાં સવાણી કન્સ્ટ્રક્શનના આવે તેની તકેદારી રાખવી જોઇએ. ચાર દરવાજાના કામોમાં આશરે 5 કરોડ ભાગબટાઈમાં હોઈઆ થઈ ગયા હતા. તેણે રિનોવેશનના નામે ચૂના- પટ્ટી જ મારી હતી. કમિશનર આજે 120 દિવસ પછી ફરી માંડવી ઇમારતને જોવા આવ્યા પણ તેમના સિટી ઇજનેર સહિત દરેક ઝોનના ઇજનેરો શું કરતા હતા ? હવે કમિશનરે ધ્યાન રાખવું જોઇએ કે આ વારસાને બચાવવાનો છે અને તેમાં સહેજ પણ ખાયકી ના થવી જોઇએ.અત્યાર સુધી વડોદરાનાં ઐતિહાસીક વારસાને બચાવવાના માત્ર વાયદા જ થયા છે પણ નક્કર કાર્ય કોઇએ કર્યું નથી. ધારાસભ્યો, મેયર, ચેરમેન અને સાંસદ તો બદલાતા રહેશે પણ આ વારસો વર્ષોથી ઉભો છે, તેને સાચવવો જોઇએ. જો તમે આ ઐતિહાસિક વારસાને સાચવી ના શકતા હો તો કોર્પોરેશને આ વારસાને ગાયકવાડ સ્ટેટને પરત આપી દેવા જોઇએ. તમને મળેલી ભેટ જો તમે સાચવી ના શકો તો ગાયકવાડ સ્ટેટને પાછી આપીને બે હાથ જોડીને કહો કે અમે સાચવી શકીએ તેમ નથી. ગાયકવાડ પરિવાર એટલા તો સક્ષમ છે કે તે આ ઐતિહાસીક વારસાને સાચવી લેશે. પણ આ પ્રકારે હેરિટેજને જર્જરીત દશામાં મુકી દઇને તેની જાળવણી કરવામાં માત્ર મિટીંગો કરી તથા કરોડોનું ફંડ મેળવી ભ્રષ્ટાચાર આચરવાનું બંધ કરવું જોઇએ. વડોદરાની પ્રજાની લાગણી આ ઐતિહાસીક વારસા સાથે જોડાયેલી છે અને આ લાગણી સાથે રમત કરવાની કોર્પોરેશન તથા વડોદરાનાં લોભી નેતાઓએ બંધ કરવું જોઇએ. અગાઉ સ્થાયી ચેરમેન એમ કહે છે કે માંડવી દરવાજાનું છેલ્લું રિસ્ટોરેશન 1856માં થયું હતું પણ સ્થાયી ચેરમેન ડો.શીતલ મિસ્ત્રી જુઠ્ઠુ બોલી રહ્યા છે અને તેમને ખબર જ નથી કે 2017માં તેમની જ સ્થાયી સમિતી દ્વારા રિસ્ટોરેશન કરવામાં આવ્યું હતું તેમાં આશરે 5 કરોડ રુપિયાનો ખર્ચો કરાયો હતો.સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત રિસ્ટોરેશનના નામે જે 5 કરોડ વપરાયા હતા તેનું શું થયું ? તેની વિજીલન્સ તપાસ થવી જોઇએ. કારણકે છ-સાત વર્ષમાં જ માંડવી સહીતનાં દરવાજા ફરી જર્જરીત થઇ ગયા છે. આ માટે 2017થી 2025 સુધીના તમામ મેયર, સ્થાયી ચેરમેન, સિટી એન્જિનિયરની ટેકનીકલ ટીમ તથા મ્યુનિ.કમિશનર,ડે.કમિશનર,સ્માર્ટ સિટીનાં ડાયરેક્ટરોની પણ જવાબદારી બને છે. સ્માર્ટ સિટીનાં નામે આશરે 5 કરોડ વાપરવામાં આવ્યા તે કોના ખિસ્સામાં જતા રહ્યા તેની ઉંડી તપાસ થવી જરુરી છે.  સ્થાયી ચેરમેન ડો.શીતલ મિસ્ત્રી 1856માં છેલ્લે રિસ્ટોરેશન થયું હતું તેવી વાતો કરે છે પણ તેમણે વાહવાહી મેળવવા પહેલા પુરતું હોમવર્ક કર્યું જ ન હતું. સ્થાયીની દરખાસ્ત હેઠળ ચાર દરવાજાનું રિસ્ટોરેશન કરાયું હતું. રિસ્ટોરેશનના નામે 5 કરોડ ખવાઇ ગયા પછી પણ ચાર દરવાજાની હાલત તો અત્યારે ખરાબ જ છે અને તેથી રિસ્ટોરેશનનો વહિવટ હવે કોર્પોરેશને નહી કરવો જોઇએ. તેમાં ભ્રષ્ટાચારની પુરતી શક્યતા છે. જે નેતાઓ- અધિકારીઓ સો રૂપિયાની સિસોટી, 3800માં ખરીદતા હોય પચાસ હજારની બોટ પાંચ લાખમાં ખરીદતા હોય. તેઓ મોકો મળે ત્યારે ગમે તે હદ સુધી જઈ શકે છે. 



પાલિકાનાં નપાણિયા નોતાઓને યાદ અપાવી દઈએ કે કરોડોનાં ખર્ચે આ દરવાજામાં કામ કરાયા હતા

શહેરનાં ઐતિહાસીક વારસા સમાન માંડવી, પાણીગેટ, ચાપાંનેર અને ગેંડીગેટની રીસ્ટોરેશનની કામગીરી સ્થાયી સમિતિ ઠરાવ તા. 31-8-2017 મુજબ કરાઇ હતી, અને કોર્પોરેશનના ફ્યુચરીસ્ટીક સેલ દ્વારા આ કામગીરી કરાઇ હતી.  કામગીરી માટે કુલ 5 વર્ક ઓર્ડર અપાયા હતા જેમાં ઠરાવ નંબર 214, 24-8-2017 મુજબ મોદી એસોસિએટ,સુરતને કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવી હતી અને પ્રોજેક્ટનાં 4.50 ટકા લેખે 4 ગેટની તેને ચૂકવણી કરાઇ હતી. ત્યારબાદ કન્સલ્ટન્ટ દ્વારા રિપોર્ટ અપાયો હતો.ગેડીગેટ દરવાજામાં, દરખાસ્ત 69, 19-5-2017, 23-4-2018 નાં રોજ કામ પૂરું થયું  હતું અને તેમાં  96,57,102 રુપિયા ખર્ચો થયો હતો....


પાણીગેટ દરવાજા , દરખાસ્ત નંબર 68, 19-5-2017ના રોજ કામ શુ થયું હતું અને , 98,10,921 રુપિયાનો ખર્ચો કરાયો હતો. આ કામ 31-1-2018 નાં રોજ કામ પૂરું થયું હતું અને સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાયવેટ લિમિટેડ, મુંબઈ દ્વારા કામ કરાયું હતું.માંડવી ગેટ, સ્થાયી દરખાસ્ત નંબર 225, 31-8-2017,  કામ શરુ થયું હતું જેમાં એસ્ટીમેટ કોસ્ટથી વધારે રકમ આપીને 1,25,13,300 રુપિયાનો ખર્ચો કરાયો હતો. આ કામ 31-1-2019 નાા રોજ કામ પૂરું થયું હતું.ચાંપાનેર ગેટમાં સ્થાયી દરખાસ્ત નંબર 226, મુજબ 31-8-2017 ના રોજ કામ શરુ થયુંહતું અને તે કામ  31-1-19 ના રોજ પુરુ થયું હતું જેનો ખર્ચો  96,19,699 રુપિયા થયો હતો. 

સવાણી હેરિટેજ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીની તપાસ થવી જોઇએ...
આ દરવાજાઓનાં રિસ્ટોરેશનનું કામ જ્યારે શરુ થયું ત્યારે કાર્યપાલક ઇજનેર (ફ્યુચરીસ્ટીક) દ્વારા ટેકનિકલ વિજીલન્સ વોચ રાખવાનો ઓર્ડર પણ અપાયો હતો. આ કામનાં 500 પાનાનાં વિગતવાર દસ્તાવેજો છે, વડોદરાના એક જાગૃત નાગરિક પાસે તેની પુરેપુરી વિગત છે. કામનો જ્યારે ઓર્ડર અપાયો ત્યારે સવાણી હેરિટેજ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની હતી પણ જ્યારે કામ પુરુ થઇને બીલ ચુકવાયા ત્યારે તેનું નામ સવાણી કન્ઝર્વેશન પ્રાયવેટ લિમિટેડ થઇ ગયું હતું !!

સ્વર્ણિમ ગ્રાન્ટ- 2 માંથી ગ્રાંટ લેવાઈ અને સ્માર્ટ સિટીમાં બતાવાઈ...
આ કામગીરીમાં સ્વર્ણિમ ગ્રાન્ટ-2ના ફંડની રકમ ચુકવણી થઈ હતી. આ પ્રોજેક્ટ સ્માર્ટ સિટી મિશનમાં બતાવાયો હતો. એટલે કે સ્માર્ટ સિટીના નામે સ્વાહા થઇ ગયા હતા. આશ્ચર્યની વાત એ છે કે સ્વર્ણિમ ગ્રાન્ટ 2 માંથી  રૂપિયા લેવાના અને સ્માર્ટ સિટીમાં બતાવાયા હતા. આ કામોને ઓર્ડરની શરતો મુજબ (ચોમાસાની ઋતુ બાદ કરીને) 6 મહિનામાં કામ પુરુ કરવાનું હતું 

 

સ્માર્ટ સિટીનાં 51 પ્રોજેક્ટમાં પણ કરોડોનું કૌંભાડ..
સમગ્ર મામલાની ઉંડી તપાસ કરીને ફ્યુચરીસ્ટીક સેલના અધિકારીઓને અને અન્ય મળતીયાઓને ખુલ્લા પાડીને રિસ્ટોરેશનના બહાને કરેલા કૌભાંડો બહાર પાડવા જોઇએ. વાસ્તવમાં આવા ફોટા બતાવીને સભાને મૂર્ખ બનાવાઈ છે. જાગૃત નાગરીકે આ બાબતની સીએમઓ,પોલીસ કમિશનર, એસીબી, પીએમઓ અને મ્યુની. કમિશનર સમક્ષ ફરિયાદ પણ કરેલી છે . કૌભાંડમાં એક સનદી અધિકારી બીજા સનદી અધિકારીને બચાવે છે અને એક નેતા બીજા નેતાઓને બચાવવામાં પડ્યા છે. આ કૌભાંડની તમામ સંગઠનના હોદેદારો તથા કેન્દ્ર અને રાજ્ય સરકારને ખબર છે . વાસ્તવમાં સ્માર્ટ સીટીમાં ઘણાં કૌભાંડો થયા છે. સ્માર્ટ સીટી મિશન કૌભાંડોનું મિશન છે. તેમાં હાલનાં હોદેદારો અને પૂર્વ હોદેદ્દારો સહિત સનદી અધિકારીઓ પણ જવાબદાર છે.


હવે ભજન, ભવાઇ અને ભંડારા, ખોટી બેઠકો બંધ કરો...
હવે ભજન, ભવાઇ અને ભંડારા, ખોટી બેઠકો,યાત્રાઓ બંધ કરી જે પાલિકાનાં રૂપિયા લઇ ગયા,તે કોન્ટ્રાક્ટર પાસે જ વિના વળતરે ફરી કામ કરાવવું જોઇએ. વડોદરા કે ગુજરાતમાં કોઈ કોન્ટ્રાકટર ના મળ્યો અને મુંબઈથી લાવવા પડ્યો હતો! કન્સલ્ટન્ટ પણ સુરતનો છે.. આવી કામગીરી કરનારા કન્સલ્ટન્ટ અને કોન્ટ્રાકટર સામે પણ ગુનો દાખલ થવો જોઈએ. ફ્યુચરીસ્ટીક સેલ નું કૌભાંડ છે સ્થાયી ચેરમેન ડૉ. શીતલ મિસ્ત્રી લોકોને મૂર્ખા બનાવે છે. 2017/18 માં સ્થાયી સમિતિના તાબા હેઠળ કામ થયું છે. સવાણી કન્સલ્ટન્ટને જો ફરી કામ આપવામાં આવે તો ફ્રી માં કામ કરાવવું જોઇએ.


અમુક તજજ્ઞો હરખાઇ ગયા હતા કે તેમનું ટેન્ડર પાસ થઇ જ ગયું છે. 
મ્યુનિ.કમિશનર આજે હેરીટેજના તજજ્ઞોને લઇને માંડવી દરવાજાનું નિરીક્ષણ કરવા ગયા હતા. અગાઉ આ જ તજજ્ઞો મહારાણી રાધિકા રાજે સાથે પણ આવેલા હતા.સ્થળ ઉપર જે રીતે તજજ્ઞો અતિ ઉત્સાહમાં આવીને નિરીક્ષણ કરતા હતા તે જોતાં તેમને લાગતું હતું કે તેમને માંડવી દરવાજાનું કામ આજથી જ  મળી ગયું છે. કામ મળી ગયું હોય તેમ તે હરખાતા હતા. કમિશનરે કહ્યું તેમ સૌથી પહેલાં તો દરવાજાના પિલરનાં સપોર્ટનું કામ કરાશે અને પછી ટેન્ડર પ્રક્રિયા કરાશે અને ત્યારબાદ રિસ્ટોરેશન થશે પણ અમુક તજજ્ઞોનો હરખાઇ ગયા હતા કે તેમનું ટેન્ડર પાસ થઇ જ ગયું છે. 



મુંબઇના કોન્ટ્રાકટરને કોન્ટ્રાક્ટ અપાયો હતો
સ્થાયી ચેરમેનને અને હોદ્દેદારોને અમે યાદ કરાવીએ કે માંડવી, પાણીગેટ, ચાંપાનેર અને ગેંડીગેટના રિસ્ટોરેશનની કામગીરી સ્થાયી સમિતીના ઠરાવ નંબર 226, 31-8-2017 મુજબ કરાઇ હતી. સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાયવેટ લિમિટેડ નામના મુંબઇના કોન્ટ્રાકટરને કોન્ટ્રાક્ટ અપાયો હતો. આ કંપની વડોદરા કોર્પોરેશનના પદાધીકારીઓ અને અધિકારીઓને મૂર્ખા બનાવી ગઈ છે. આ કામગીરી કોર્પોરેશનના ફ્યુચરીસ્ટીક સેલ દ્વારા કરાઇ હતી. હવે જ્યારે માંડવી દરવાજો જર્જરીત થઇ ગયો છે અને ગમે ત્યારે કોઇ દૂર્ઘટના સર્જાઇ શકે છે ત્યારે સાત વર્ષ પહેલાં એવું તો કેવું કામ થયું હતું કે દરવાજાની આટલી ખરાબ હાલત થઇ ગઇ તેની ઉંડી તપાસ રાજ્ય સરકારનાં શહેરી વિકાસ વિભાગે કરાવવી જરુરી છે. 

 

રિસ્ટોરેશન માટે તમામ ટેન્ડર પ્રક્રિયા શરુ કરવામાં આવી ચુકી છે

કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવાયું હતું કે હેરીટેજ એક્સપર્ટ અને અધિકારીઓની ટીમ સાથે કમિશનર અરુણ મહેશ બાબુ ઐતિહાસીક ધરોહર માંડવી દરવાજાની હાલની સ્થિતીનો તાગ મેળવવા ગયા હતા. કમિશનરે જણાવ્યું કે તાત્કાલિક ધોરણે પિલરમાં વધુ ડેમેજ ના થાય તે માટે પિલરનાં રિપેરીંગ એટલે કે રિસ્ટોરેશન માટે કામગીરી શરુ કરાશે અને ત્યારબાદ જ રિનોવેશન સહિતની કામગીરી કરાશે. રિસ્ટોરેશન માટે તમામ ટેન્ડર પ્રક્રિયા શરુ કરવામાં આવી ચુકી છે અને હેરીટેજ એક્સપર્ટની પણ મદદ લેવાઇ છે. પોલીસ સાથે સંકલનમાં રહીને માંડવી દરવાજાની આસપાસ અવાજનું પ્રદુષણ અટકાવવા અને જર્જરીત પિલરની આસપાસ યોગ્ય બેરીકેટીંગ કરાશે અને દુર્ઘટના ના બને તે માટે કાળજી લેવાશે. તથા ભગતસિંહ ચોક પાસે વીર ભગતસિંહની પ્રતિમાની પણ મુલાકાત લઇને નિરીક્ષણ કરાયું હતું અને તેનું પણ તાત્કાલીક રિપેરીંગ કરવા અધિકારીઓને સુચના અપાઇ છે.

પીલ્લર્સમાં થયેલા નુકસાનની તાત્કાલિક સમારકામની કામગીરી બે-ત્રણ દિવસમાં શરૂ કરવામાં આવશે
અત્યારે અમે સ્ટ્રક્ચરલ ઇશ્યૂઝ પર સ્ટડી કરી રહ્યા છીએ. હજુ સુધી અમે આ સ્ટ્રક્ચરને જોખમી જાહેર કરી શકીએ નહીં, પરંતુ ઇમરજન્સીના ભાગરૂપે આર્ક સ્ટ્રક્ચર્સને સપોર્ટ આપવામાં આવી રહ્યો છે. માંડવીની જૂની ભવ્યતા પુનઃસ્થાપિત કરવા માટે થોડો સમય લાગશે. પીલ્લર્સમાં થયેલા નુકસાનની તાત્કાલિક સમારકામની કામગીરી બે-ત્રણ દિવસમાં શરૂ કરવામાં આવશે. રેસ્ટોરેશનનું સંપૂર્ણ કામ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બે-ત્રણ મહિના સુધી ચાલશે.સાઉન્ડ પોલ્યુશન, ટ્રાફિક અને પર્યાવરણીય પ્રદૂષણને કારણે માંડવીના સ્ટ્રક્ચરને નુકસાન થઈ રહ્યું છે. આ માટે પોલીસ કમિશનર સાથે ચર્ચા કરવામાં આવી છે અને આગામી દિવસોમાં વાહનોની અવરજવર પર નિયંત્રણ મૂકવા નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. તેમણે સ્પષ્ટ કર્યું કે, નજીકના મંદિરને કારણે લોકોની અવરજવર પર પ્રતિબંધ નહીં મૂકવામાં આવે, પરંતુ નુકસાન ઘટાડવા માટે જરૂરી પગલાં લેવામાં આવશે.

અરુણ મહેશ બાબુ, કમિશનર


ત્રણ વાર પૂર, હરણી બોટકાંડ, ગંભીરા દૂર્ઘટના, કુદરતી સંકેત છે  
 મારા તપનો 132 દિવસ છે. માંડવી અને ચાર દરવાજાનું રિસ્ટોરેશન જાળવણી મેઇન્ટેનન્સ થાય તે જરુરી છે. મારા તપના 10માં દિવસે કમિશનર આવ્યા હતા પણ આજે પાછા તપના 132ના દિવસે પાછા આવ્યા છે અને પિલ્લરનું કામ શરુ કરવાની વાત કરી છે. મેં વાસ્તુની દ્રષ્ટીએ મહત્વ સમજાવ્યું કે વડોદરાના બ્રહ્મ સ્થાને માંડવી આવેલું છે. જે જર્જરીત થઇ ગયું છે અને ઘડિયાળ બંધ થઇ ગઇ છે અને બ્રહ્મ સ્થાન ડિસ્ટર્બ થયું એટલે વડોદરામાં ત્રણ વાર પૂર આવ્યા હરણી બોટકાંડ થયો, ગંભીરા દૂર્ઘટના થઇ અને આ કુદરતી સંકેત છે તે આપણે સમજવું જોઇએ બ્રહ્મ સ્થાન બગડે છે તેથી આ થતું હશે તેમ હું માનું છું. રાજવી પરિવાર વર્ષો પછી માંડવી આવ્યો હતો કારણ કે તેમને આ સ્થાનનું મહત્વ ખબર છે. મહારાણી અને રાજમાતાએ પણ ઝડપથી કામ શરુ કરાવાની ઈચ્છા વ્યક્ત કરી છે.છેલ્લા કેટલાક વર્ષથી સયાજીરાવ ગાયકવાડે આપેલી કેટલીક ઇમારતો જર્જરીત થઇ છે. ઐતિહાસીક વારસાને સાચવવા ઇવેન્ટ કરવી જોઇએ.

હરિઓમ વ્યાસ, પૂજારી


Reporter: admin

Related Post