News Portal...

Breaking News :

મુખ્યમંત્રીનો કડક સંદેશ, હલકી ગુણવત્તાના કામો કરનારા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ, 30 નવેમ્બર સુધી સ્થળ અહેવાલની સૂચના

2025-11-14 10:15:33
મુખ્યમંત્રીનો કડક સંદેશ, હલકી ગુણવત્તાના કામો કરનારા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ, 30 નવેમ્બર સુધી સ્થળ અહેવાલની સૂચના


રોડ-રસ્તાની હાલત પર મુખ્યમંત્રીની સીધી ચેતવણી — અધિકારીઓ ફિલ્ડ વિઝિટ કરી ગુણવત્તા સુનિશ્ચિત કરે...
મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ધોરી માર્ગો તથા મહાનગરો અને નગરોના રોડ-રસ્તાના કામોની ક્વોલિટીમાં કોમ્પ્રોમાઈઝ કે બાંધછોડ રાજ્ય સરકાર ચલાવશે નહી તેવા સ્પષ્ટ દિશાનિર્દેશો ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને મુખ્ય સચિવ એમ.કે. દાસની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આપ્યા હતા.


રાજ્યના મહાનગરોના મેયરઓ, સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષઓ, મ્યુનિસિપલ કમિશનરઓ અને રિજનલ મ્યુનિસિપલ કમિશનરઓ આ બેઠકમાં વિડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી જોડાયા હતા અને તેમના નગરો-મહાનગરોની રોડ-રસ્તાની સ્થિતિની વિગતો મુખ્યમંત્રીને આપી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાસનદાયિત્વ સંભાળ્યું ત્યારથી રાજ્યમાં માર્ગો-રોડ-રસ્તા-પૂલોના બાંધકામમાં ક્વોલિટી પર સતત ભાર મૂક્યો છે. આવા પ્રજાહિતના કામોમાં ક્વોલિટીમાં કોમ્પ્રોમાઈઝ કે બાંધછોડ કરવાની વાત ચલાવી લેતા નથી તેની પ્રતીતિ તેમણે અનેકવાર કરાવી છે. તાજેતરમાં 3 કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે.એટલું જ નહીં, હલકી ગુણવત્તાના કામો કરનારા 13થી વધુ કોન્ટ્રાક્ટરોને આ વર્ષે બ્લેકલિસ્ટ કરવા સુધીના સખત શિક્ષાત્મક પગલાં પણ મુખ્યમંત્રીની સીધી સૂચનાથી લેવાયા છે.મુખ્યમંત્રીએ ગુરૂવારે બપોરે યોજેલી આ બેઠકમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, માર્ગો પરના પોટહોલ્સ પુરવાના કામો અગ્રતા ક્રમે હાથ ધરાય એટલુ જ નહી, સંબંધિત અધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનરો અને ડેપ્યુટી કમિશનરો નિયમિત પણે ફિલ્ડ વિઝીટ કરીને કામોની ગુણવત્તા ચકાસતા રહે અને ૩૦મી નવેમ્બર સુધીમાં રોડ-રસ્તાની સમગ્રતયા સ્થિતિનો સ્થળ અહેવાલ રજૂ કરે. જે સ્થળોએ બ્રિજના કામો થતા હોય ત્યાં ડાયવર્ઝન માટેના આર.સી.સી. રોડ બને જેથી સંબંધિત કામ પૂરું થાય ત્યાં સુધી નાગરિકોને વાહન-વ્યવહાર માટે કોઈ અગવડ ન પડે તે માટે પણ તેમણે બેઠકમાં સંબંધિત અધિકારીઓને સૂચનો કર્યા હતા.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં પણ પ્રભારી મંત્રીઓ તેમના જિલ્લાઓમાં રોડની સ્થિતિની સમીક્ષા સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજીને તા. ૩૦ નવેમ્બર સુધીમાં પૂરી કરીને સ્થળ-સ્થિતિનો અહેવાલ સત્વરે આપવા માટે પણ સૂચના આપી હતી. તેમણે આ ઉચ્ચસ્તરીય બેઠકમાં એમ પણ જણાવ્યું કે, જે રોડ-રસ્તા મેન્ટેનન્સ ગેરેન્ટી પિરીયડ દરમિયાન તૂટી જાય તો તેના કોન્ટ્રાક્ટર્સને તાત્કાલિક બ્લેક લિસ્ટ કરવા સહિતની કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ.નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીએ આ બેઠકમાં કહ્યુ કે, શહેરોમાં રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, માર્કેટ જેવા સ્થળો જ્યાં લોકોની વધુ અવર-જવર હોય ત્યાં રોડ રિપેરીંગના કામોની લોકોને અનુભૂતિ થાય તે રીતે શહેરી સત્તાતંત્રો અને માર્ગ-મકાન વિભાગ કામગીરી કરે. માર્ગ દુરસ્તી માટેની મળતી ફરિયાદોનું સત્વરે નિવારણ આવે સાથોસાથ અન્ય રિપેરીંગ અને રસ્તાના નવા કામો પણ થતા રહે તે જરૂરી છે તેમ તેમણે ઉમેર્યુ હતુ.આ ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્યમંત્રીના સલાહકર  એસ.એસ. રાઠૌર, શહેરી વિકાસ અગ્ર સચિવ એમ. થેન્નારસન, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ  અવંતિકા સિંઘ, કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ રેમ્યા મોહન, માર્ગ-મકાન સચિવ પ્રભાત પટેલિયા, મુખ્યમંત્રીશ્રીના ઓ.એસ.ડી. ધીરજ પારેખ અને માર્ગ-મકાન તથા શહેરી વિકાસ વિભાગના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Reporter: admin

Related Post