ઈડર: ગુજરાતમાં વધુ નવા 17 તાલુકા બનાવવા સરકારે નિર્ણય લીધો છે ત્યારે સાબરકાંઠા જીલ્લામાં વિરોધ વંટોળ શરૂ થયો છે.
ઈડર તાલુકાના જાદરને તાલુકાનો દરજ્જો ન આપતાં સ્થાનિકોએ ભાજપના ધારાસભ્ય રમણ વોરાના ઘરનો ઘેરાવ કરી હોબાળો મચાવ્યો હતો. લોકોનો રોષ જોઈ રમણ વોરા ફોન બંધ કરીને ભૂગર્ભમાં ઉતરી પડ્યાં હતાં. નવરચિત તાલુકા જાહેર કરીને સરકારે જ જાણે શાંત જળમાં પથરો ફેંક્યો છે. ઘણાં વખતથી જાદરને તાલુકા બનાવવા સ્થાનિકો માંગ કરી છે. તેમનું કહેવુ છે કે, છેલ્લાં 6 ધારાસભ્ય છેલ્લાં ઘણાં વખતથી લોલીપોપ આપી રહ્યાં છે. જો બનાસકાંઠાને ચાર અને અરવલ્લીને બે તાલુકા મળતાં હોય તો ઈડરને કેમ નહીં.જાદરવાસીઓ એટલી હદે રોષે ભરાયાં છે કે, 70થી વઘુ આગેવાનોએ કેસરિયો ખેસ ઉતારી આ મુદ્દે સરકાર સામે લડત લડવા નક્કી કર્યુ છે.
એવી ચિમકી આપવામાં આવી છે કે, જાદર પંથકના ગામડાઓમાં હવે ભાજપના એકેય નેતાને પ્રવેશ મળશે નહીં. એટલુ જ નહીં, આ ગામડાઓમાં ભાજપનો એકપણ કાર્યક્રમ યોજવા દેવાશે નહી.નવરચિત તાલુકા મુદ્દે અત્યારથી વિરોધનો બુંગિયો ફૂંકાયો છે ત્યારે સરકારે સાપે છછૂંદર ગળ્યો હોય તેવી સ્થિતી નિર્માણ થઇ છે. સ્થાનિક સ્વરાજયની ચૂંટણી સમયે તાલુકા વિભાજનનો મુદ્દો ભાજપને લાભદાયી નહી બલ્કે રાજકીય દ્રષ્ટિએ નુકશાન પહોંચાડી શકે છે. નવરચિત તાલુકાઓમાં સૌરાષ્ટ્રની ધરાર બાદબાકી કરવામાં આવી છે ત્યારે આગામી દિવસોમાં સૌરાષ્ટ્રમાં પણ સરકાર વિરૂદ્ધ આંદોલન થાય તેમ છે.વાવ, થરાદ, સુઈગામ, ભાભર, દિયોદર અને લાખણીનો સમાવેશ કરી રાજ્ય સરકારે વાવ-થરાદ જિલ્લો બનાવવા સરકારે નિર્ણય લીધો છે. નવ રચિત ઓગડ અને હડાદ તાલુકો બનાસકાંઠામાં રહેશે પણ દિયોદર, લાખણી,ધરણીધર અને રાહ તાલુકો નવ રચિત વાવ થરાદ જિલ્લામાં રહેશે. આ અગાઉ જીલ્લા વિભાજનના મુદ્દો બનાસકાંઠા જીલ્લામાં ભાજપનો ભરપૂર વિરોધ થયો હતો. આ જોતાં સરકારે લોકોનો વિરોધ ડામવા આ નિર્ણય લેવો પડ્યો છે.
Reporter: admin







