ગાંધીનગરઃ ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યાને ભૂપેન્દ્ર પટેલનો ત્રીજા વર્ષમાં પ્રવેશ થયો છે. જે અંતર્ગત રાજ્યમાં અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
ગઈકાલે મુખ્ય પ્રધાને દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. જે બાદ ગુજરાતના રાજકારણમાં નવા જૂનીની ચર્ચા શરૂ થઈ છે.ભૂપેન્દ્ર પટેલે દિલ્હીમાં પીએમ મોદી સાથે મુલાકાત કર્યા બાદ મંત્રી મંડળના વિસ્તરણની અટકળો શરૂ થઈ છે. ગુજરાતમાં મંત્રી મંડળનું ટૂંક સમયમાં વિસ્તરણ થઈ શકે છે. સૂત્રો મુજબ આ મહિનાના અંત પહેલા રાજ્યમાં મંત્રી મંડળનું વિસ્તરણ થઈ શકે છે. જેમાં નબળી કામગીરી કરનારા ત્રણથી ચાર પ્રધાનોને પડતાં મૂકવામાં આવી શકે છે.તેમના બદલે નવા ચારથી પાંચ ધારાસભ્યોને સ્થાન અપાઇ શકે છે. જેમાં ખાસ કરીને કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને ચૂંટણી જીતેલા અર્જુન મોઢવાડીયાને પણ મંત્રીમંડળમાં સમાવવામાં આવી શકે છે. અર્જુન મોઢવાડીયાએ કૉંગ્રેસને રામ રામ કર્યા ત્યારે ભાજપના મોટા નેતાઓએ તેમને મંત્રીપદ મળશે એવી બાંહેધરી આપી હતી. જેથી મંત્રી મંડળમાં તેમને સ્થાન મળશે તેવી અટકળો હાલ થઈ રહી છે.
આ ઉપરાંત અન્ય એક ચર્ચા મુજબ, ભૂપેન્દ્ર પટેલની સરકારમાં રહેલા બેથી ત્રણ કેબિનટ મંત્રીઓની કામગીરીથી દિલ્હી દરબાર ખુશ નથી. ઉપરાંત રાજ્યકક્ષાના ત્રણેક મંત્રીઓની કામગીરી નબળી છે. આ મંત્રીઓને પડતા મૂકવામાં આવશે કે સામાન્ય ખાતું આપીને સાઇડલાઇન કરવામાં આવશે તેના પર પણ નજર રહેશે. આશરે એક મહિનાના ટૂંકાગાળામાં સીએમ ભૂપેન્દ્ર પટેલે ત્રણ વખત પીએમ મોદી સાથે મુલાકાત કરી છે, જેથી મંત્રીમંડળની ચર્ચા વધુ વેગીલી બની છે.ગુજરાતમાં મંત્રી મંડળ વિસ્તરણની સાથે નવા પ્રદેશ પ્રમુખની પણ જાહેરાત થઈ શકે છે. ગત મહિને સી આર પાટીલે પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારીમાંથી મુક્ત કરવા સંદર્ભે નિવેદન આપ્યું હતું. જેમાં પાટીલે કહ્યું હતું કે, મારી વિદાય વસમી નહીં પરંતુ ખુશી ભરી છે. આ બાબતે તેમણે પ્રમુખપદની જવાબદારીમાંથી મુક્ત કરી અન્યને આ જવાબદારી સોંપવા માટે બે વખત રજૂઆત કરી હતી.
Reporter: admin