મુંબઈ : બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા હુમલાના શંકાસ્પદ તરીકે છત્તીસગઢના દુર્ગમાં અટકાયત કરાયેલા આકાશ કનૌજિયા નામના વ્યક્તિએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ન્યાયની પણ માંગણી કરી છે.
આકાશે રવિવારે (26મી જાન્યુઆરી) જણાવ્યું કે, 'પોલીસ કાર્યવાહી પછી મારૂ જીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે, મારી પાસે કોઈ નોકરી નથી અને પરિવાર બદનક્ષીનો સામનો કરી રહ્યો છે.'અહેવાલો અનુસાર, મુંબઈ પોલીસની સૂચનાના આધારે, રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)એ 18મી જાન્યુઆરીના રોજ દુર્ગ સ્ટેશન પર મુંબઈ લોકમાન્ય તિલક ટર્મિનસ-કોલકાતા શાલીમાર જ્ઞાનેશ્વરી એક્સપ્રેસમાંથી 31 વર્ષીય આકાશ કનોજિયાને અટકાયતમાં લીધો હતો. 19મી જાન્યુઆરીની સવારે, મુંબઈ પોલીસે થાણેના પાડોશી વિસ્તારમાંથી બાંગ્લાદેશી નાગરિક શરીફુલ ઇસ્લામની ધરપકડ કરી હતી.
ત્યારબાદ દુર્ગ આરપીએફે આકાશ કનોજિયાને છોડી દીધો હતો.મીડિયા સાથેની વાતચીતમાં આકાશ કનોજિયાએ જણાવ્યું હતુ કે, "જ્યારે મીડિયાએ મારા ફોટા બતાવવાનું શરૂ કર્યું અને દાવો કર્યો કે હું આ કેસમાં મુખ્ય શંકાસ્પદ છું ત્યારે મારો પરિવાર આઘાત પામ્યો અને રડી પડ્યો. મુંબઈ પોલીસની એક ભૂલે મારું જીવન બરબાદ કરી દીધું. તેઓ એ વાત પર ધ્યાન આપવામા નિષ્ફળ ગયા કે મારી મૂછો છે અને અભિનેતાના મકાનમાં સીસીટીવી ફૂટેજમાં દેખાતા માણસની મૂછ નહોતી."
Reporter: admin







