શેરથા : ગુજરાતની જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયા હાલ તેના ગીતોના કારણે નહીં, પરંતુ તેના અંગત જીવનમાં સર્જાયેલા હાઈવોલ્ટેજ ડ્રામાને કારણે ચર્ચાનું કેન્દ્ર બની છે.

પરિવારની મરજી વિરુદ્ધ અલ્પેશ ઠાકોર નામના યુવક સાથે પ્રેમલગ્ન કરી લેતા આ વિવાદ હવે પોલીસ સ્ટેશન અને સોશિયલ મીડિયા સુધી પહોંચી ગયો છે.કાજલ મહેરિયાએ ગત 10 ઓક્ટોબર, 2025 ના રોજ અલ્પેશ ઠાકોર સાથે લગ્ન કર્યા હોવાનું મેરેજ સર્ટિફિકેટ સામે આવ્યું છે. આ લગ્નની જાણ થતાં જ મહેરિયા પરિવારમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. મહેરિયા પરિવાર અને સમાજના અંદાજે 70 જેટલા લોકો કાજલને પરત લેવા માટે તેની સાસરી શેરથા પહોંચ્યા હતા. પરિસ્થિતિ તંગ બનતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. કાજલની માતાનો આક્ષેપ છે કે સામે પક્ષે તેમને ઉશ્કેરીને ત્યાંથી કાઢી મૂક્યા હતા.કાજલ મહેરિયાનો વળતો જવાબ આપતા કહ્યું કે, મેં મારી મરજીથી લગ્ન કર્યા છે.
લગ્નના વધતા વિવાદ વચ્ચે આજે 21 એપ્રિલના રોજ કાજલ મહેરિયાએ મૌન તોડ્યું છે. તેણે વીડિયોના માધ્યમથી સ્પષ્ટતા કરી કે, તેણે કોઈ પણ દબાણ કે ધાક-ધમકી વગર, પૂરી સ્વસ્થ અવસ્થામાં ભારતીય સંવિધાન મુજબ લગ્ન કર્યા છે. અલ્પેશ સાથે તેનો છેલ્લા દોઢ વર્ષથી સંબંધ હતો. પરિવારને જાણ કરી હતી, પણ મંજૂરી ન મળતા આ નિર્ણય લીધો. ધર્મ પરિવર્તનનો ઇનકાર કરતા કાજલે સ્પષ્ટ કર્યું કે તે સનાતન ધર્મમાં માને છે અને ધર્મ પરિવર્તન કરવા માંગતી નથી. કાજલે આક્ષેપ કર્યો કે તેને અને તેના સાસરિયાઓને મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.
Reporter: admin







