News Portal...

Breaking News :

૪૦૦ થી વધુ વિન્ટેજ ફિલ્મ કેમેરા: વડોદરાના વડીલે ફોટોગ્રાફિક વારસાનું જતન કર્યું

2026-08-19 13:44:19
૪૦૦ થી વધુ વિન્ટેજ ફિલ્મ કેમેરા: વડોદરાના વડીલે ફોટોગ્રાફિક વારસાનું જતન કર્યું

શ્રી શાંતિલાલ ગજ્જર માટે કેમેરા એ માત્ર એક મશીન નથી તે ઇતિહાસનો એક ભાગ છે. વડોદરાના ૮૩ વર્ષીય રહીશે ૧૯૩૦ના દાયકાના સૌથી જૂના કેમેરાથી લઈને ૨૦૦૫ સુધીના લગભગ ૪૦૦ વિન્ટેજ કેમેરાનો અદ્ભુત સંગ્રહ બનાવ્યો છે અને હજુ પણ આ ગણતરી ચાલુ જ છે. તેમના સંગ્રહમાં વડોદરાના ખાસ પાંચ કેમેરા પણ છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે મોટાભાગના કેમેરા વર્કિંગ કન્ડિશનમાં છે. લોકો મોડેલને સરળતાથી સમજી શકે તે માટે તેમણે આ કેમેરાની વિગતો પણ ડોક્યુમેન્ટ કરી રાખી છે.

શ્રી ગજ્જરનો કેમેરા પ્રત્યેનો પ્રેમ રેડિયો ટેકનિશિયન તરીકે કામ કરતી વખતે શરૂ થયો હતો. તેઓ ધીમે ધીમે કેમેરા રિપેરિંગ અને ત્યારબાદ પ્રોફેશનલ ફોટોગ્રાફી ક્ષેત્રે આગળ વધ્યા. વિન્ટેજ મોડેલ્સના રિપેરિંગ અને સંગ્રહ માટે પોતાને સમર્પિત કરતા પહેલાં તેમણે વર્ષો સુધી લગ્નો અને શહેરના અન્ય કાર્યક્રમોની ફોટોગ્રાફી કરી હતી. તેમના સંગ્રહમાં પોલેરોઇડ કેમેરા, રેડિયો કેમેરા, સ્નાઈપર ગન શૈલીનો કેમેરો, ચાવીથી ચાલતો કેમેરો, સ્પ્રિંગ-વાઇન્ડિંગ મોડેલ્સ અને વિવિધ આકાર તથા કદના કેમેરા સામેલ છે. તેમના આ અમૂલ્ય સંગ્રહમાં એક નાનો સ્પાય કેમેરો પણ છે જ્યાંથી તેમણે આ સંગ્રહની શરૂઆત કરી હતી.

પોતાનો આ અનોખો સંગ્રહ ગર્વથી બતાવતા ગજ્જરે કહ્યું હતું કે, "જ્યારે મને મારા મિત્રની દુકાનેથી એક અસાધારણ મિનીએચર કેમેરો મળ્યો ત્યારે વિન્ટેજ કેમેરા પ્રત્યેનો મારો શોખ વધુ વધી ગયો હતો. તેને ફેંકી દેવાને બદલે મેં મારી પાસે રાખી લીધો અને ત્યાંથી જ મારા કેમેરા કલેક્શનની શરૂઆત થઈ હતી. વર્ષો જતાં મેં વિવિધ કદ અને આકારના કેમેરા એકઠા કર્યા અને તેને મારા સંગ્રહના ભાગરૂપે આજસુધી સાચવી રાખ્યા છે."

વર્ષો જતાં જૂના શહેરમાં આવેલી તેમની કેમેરા રિપેરિંગની દુકાન ફોટોગ્રાફરો અને કેમેરાના શોખીનો માટે એક જાણીતું સરનામું બની ગઈ છે. આજે પણ શ્રી ગજ્જર વિન્ટેજ કેમેરાની શોધ ચાલુ રાખે છે અને આ સંગ્રહને સાચવવામાં તેમના પુત્ર અતીતને પણ પ્રોત્સાહિત કરે છે.

શ્રી ગજ્જરે વધુમાં જણાવ્યું હતું કે, "મારે યુવા પેઢીને આ અનોખા કેમેરા અને ફોટોગ્રાફીની દુનિયા વિશે જાગૃત કરવી છે. હું દરેકને આ માસ્ટરપીસ વિશે જાણવા અને તેને કેવી રીતે ઓપરેટ કરવા તે શીખવા માટે આમંત્રિત કરું છું. મારી ભવિષ્યમાં એક મ્યુઝિયમ ખોલવાની અને આવનાર પેઢીઓ માટે આ દુર્લભ કેમેરાઓ પ્રદર્શિત કરવાની પ્રબળ ઈચ્છા છે."

શ્રી શાંતિલાલ ગજ્જર માટે દરેક જૂનો કેમેરો એક વાર્તા ધરાવે છે અને ટેકનોલોજીના આ દુર્લભ ટુકડાઓને જીવંત રાખવા એ ફોટોગ્રાફીના ઇતિહાસને સાચવવાનો જ એક માર્ગ છે.

Reporter: admin

Related Post