સુરત: શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલા મહાવીર ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં સોફા બનાવતા એક કારખાનામાં અચાનક ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ખાતા નંબર 130માં આવેલા કારખાનામાં આગ લાગ્યા બાદ ધુમાડાના ગોટેગોટા નીકળતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી હતી.
કારખાનામાં સોફાના ઉત્પાદન માટે મોટા પ્રમાણમાં રૂ, ડનલોપ (ફોમ) તેમજ જ્વલનશીલ કેમિકલનો જથ્થો રાખવામાં આવ્યો હતો. જ્વલનશીલ સામગ્રીના કારણે આગે ગણતરીની મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને સમગ્ર યુનિટને પોતાની ઝપેટમાં લઈ લીધું હતું.
ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા પાણીનો મારો શરૂ કર્યો હતો. ફાયર ફાઈટરોએ કલાકોની જહેમત બાદ આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી.
આગની ઘટનામાં કારખાનામાં રહેલો કાચો માલ, મશીનરી અને તૈયાર સોફા સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. જેના કારણે કારખાના સંચાલકને મોટું આર્થિક નુકસાન થયું હોવાનું જાણવા મળે છે.
સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ કયા કારણોસર લાગી તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Ai generated image
Reporter: admin







