દિલ્હી : કેન્દ્ર સરકાર હાઇવે મુસાફરીને લગતા નીતિનિયમોમાં મોટા ફેરફારો કરવા જઈ રહી છે. આ ફેરફારોના ભાગરૂપે 15 જુલાઈ, 2025થી ટુ-વ્હિલર ચાલકોને પણ હાઈવે પર ટોલ-ફ્રીનો લાભ આપવાનું બંધ કરવામાં આવશે.
જો કે, આ મુદ્દે સરકારે સત્તાવાર જાહેરાત નથી કરી, પરંતુ આ પગલું ટુ-વ્હિલરને પણ FASTag દ્વારા ડિજિટલ ટોલ કલેક્શન સિસ્ટમના દાયરામાં લાવવાની નીતિનો એક ભાગ છે. હાલ દેશમાં તમામ હાઇવે પર ટુ-વ્હિલરને ટોલમાંથી મુક્તિ છે. તેનું કારણ એ હતું કે રસ્તાના ઘસારા પર આ વાહનોની અસર નહીવત છે. આ ઉપરાંત આ વાહનો પાસેથી ટોલ ઉઘરાવવાનો ખર્ચ પણ વધારે થાય એમ હતો. પરિણામે, ટુ-વ્હિલરને FASTag ખરીદવાની પણ કોઈ જરૂરિયાત ન હતી.
15 જુલાઈ, 2025થી શું બદલાશે?
15 જુલાઈ, 2025થી, ટુ-વ્હિલરને હાઇવે એન્ટ્રી પોઇન્ટ્સ પર ટોલના દાયરામાં લવાશે. જોકે સરકારે સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ તેની તૈયારી ઘણાં સમયથી શરૂ થઈ ગઈ છે. હવે ટુ-વ્હિલર માલિકોએ FASTag ખરીદવાની, બેંક ખાતા કે ડિજિટલ વૉલેટ સાથે લિંક તેમજ ટોલ ચૂકવણી માટે વાહન પર FASTag લગાવવું પડશે. ટુ-વ્હિલરને ટોલ સિસ્ટમમાં સામેલ કરવાના અનેક કારણ છે. જેમ કે, એકસમાન નિયમ: ભારતમાં રસ્તા પર ટુ-વ્હિલરની સંખ્યા નોંધપાત્ર છે. રસ્તા સહિતની માળખાગત સુવિધાની જાળવણીમાં તેમનું યોગદાન પણ જરૂરી છે. જેથી ફોર વ્હિલર્સની જેમ ટુ વ્હિલર્સ માટે પણ સમાન નિયમ હોવો જોઈએ.ડિજિટલ એકીકરણ: ટોલ કલેક્શનને સુવ્યવસ્થિત કરવા, ટોલ બૂથ પર ટ્રાફિક ઓછો કરવા તેમજ તમામ શ્રેણીના વાહનોમાં ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવું જરૂરી છે. આવક: રસ્તા સહિતની માળખાગત સુવિધા વધતા સરકાર સુનિશ્ચિત કરવા માંગે છે કે, રસ્તાનો ઉપયોગ કરનારા તમામ લોકો તેની જાળવણી માટે યોગદાન આપે.આ રીતે સરકાર ટોલ ચૂકવણીનું મોડેલ સુધારી રહી છે. જેમ કે, FASTag એન્યુઅલ ટોલ પાસ અને એન્યુઅલ ટોલ પાસ (ATP), જે ચોક્કસ વાર્ષિક ફી સાથે નેશનલ હાઇવે પર અમર્યાદિત મુસાફરીની છૂટ આપશે. હાલ ખાનગી વાહન માલિકો માટે રૂ. 3,000 નક્કી કરાયા છે. જો કે આ યોજનાનું લક્ષ્ય શરૂઆતમાં ફોર વ્હિલર પર રહેશે. બાદમાં ટુ-વ્હિલર માટે પણ આવું કોઈ મોડલ લવાશે.
Reporter: admin