મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુ અને કલેક્ટર ડો. અનિલ ધામેલિયા સાથે વિસ્તૃત સમીક્ષા
આગામી ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને રાજકોટ મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંભવિત આપત્તિના નિવારણ માટે કરાયેલી તૈયારીઓની સહ પ્રભારી મંત્રી કમલેશભાઇ પટેલે સમીક્ષા કરી હતી.
વર્ચ્યુઅલ મોડમાં યોજાયેલી આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ વડોદરા શહેરમાં પાણી ના ભરાય એ માટે કરવામાં આવેલા કામોની વિગતો પ્રસ્તુત કરી હતી. જેમાં વિશ્વામિત્રી નદી રિજુવેઆઇઝેશન પ્રોજેક્ટ, તળાવોની સફાઇ, મેન હોલ ગટરની સફાઇ, ભૂવા પૂરાણ, માર્ગો તથા નાળાઓનું દુરસ્તીકરણ સહિતની વિગતો એક પ્રેઝેન્ટેશનના માધ્યમથી આપી હતી.
કલેક્ટર ડો. અનિલ ધામેલિયાએ છેલ્લા ૧૦ વર્ષમાં થયેલા વરસાદ, તેની બદલાયેલી પેટર્ન ઉપરાંત નર્મદા, ઢાઢર અને મહી નદીમાં પાણીના સ્તર વધતા તેની અસરમાં આવતા ગામોમાં લેવાયેલા પગલા, એલર્ટ સિસ્ટમ, કોમ્યુનિકેશન પ્લાન, એનડીઆરએફ અને એસડીઆરએફ સાથે સંકલન અને ડ્રિલની વિગતો આપી હતી.
રાજ્ય મંત્રી પટેલે જણાવ્યું કે, વડોદરા શહેર અને જિલ્લાએ ભૂતકાળમાં પાણીના કારણે મુશ્કેલી ભોગવી છે. તેને ધ્યાને રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વિશ્વામિત્રી નદીના રિઝુવેનાઇઝેશન પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. હવે તેના કારણે શહેરીજનોને મુશ્કેલી ઓછી થશે એવી શક્યતા છે. પણ મહાપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્રએ વધુ એલર્ટ રહેવું પડશે.
તેમણે કહ્યું કે, એલર્ટ સિસ્ટમ થકી નાગરિકોને તુરંત માહિતી મળી જવી જોઇએ. પાણી ભરાતા હોય એવા સ્થળો, માર્ગો ઉપરથી તેનો તુરંત નિકાલ થાય એવી વ્યવસ્થા ગોઠવવી પડશે, ખાસ કરીને નાળા અને માર્ગોમાં કોઇને હાલાકી ના પડે તેવા પ્રેરક સૂચનો મંત્રીશ્રીએ કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી આનંદ પાટીલ, નિવાસી અધિક કલેક્ટર બી. એસ. પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Reporter: admin







