અમરનાથ : હિંદુઓ માટે અમરનાથ યાત્રા ખૂબ જ પૂજનીય અને વિશેષ છે. અમરનાથ ભગવાન શિવજીના પૂજનીય ધાર્મિક સ્થળમાંથી એક છે અને દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો બાબા બર્ફાનીના દર્શન કરવા માટે અમનાથ પહોંચે છે.
અહીં ભગવાન શિવજીનું શિવલિંગ આવેલું છે, અને તે બરફથી બનેલું છે, જેને કારણે તેને હિમલિંગ પણ કહેવામાં આવે છે. અમરનાથ ગુફા પહલગામથી 34 કિલોમીટર દૂર આવેલું છે. આજે એટલે કે 11મી જૂન, 2025ના બાબા અમરનાથના પહેલાં દર્શન થયા હતા, અને વિધિવત પૂજા કરવામાં આવી હતી.
જેઠ મહિનાની પૂનમના શુભ અવસરે અમરનાથની પવિત્ર ગુફામાં ભગવાન શિવની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવી. પૂજા અને અનુષ્ઠાનનું આયોજન અમરનાથ શ્રાઈન બોર્ડ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમયે શ્રાઈન બોર્ડના મોટા મોટા અધિકારીઓએ પણ અનુષ્ઠાનમાં ભાગ લીધો હતો. ઓગસ્ટ મહિનાના બીજા અઠવાડિયા સુધી બાબા અમરનાથના દર્શન કરવા ભક્તોની ભીડ ઉમટશે.
અમરનાથ યાત્રા વિશે શ્રાઈન બોર્ડના અધ્યક્ષ અને ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ જણાવ્યું હતું કે જેઠ મહિનાની પૂનમના પહેલી પૂજા બાદથી યાત્રા સંબંધિત પ્રક્રિયા ખૂબ જ ઝડપથી શરૂ થઈ જશે. યાત્રાની શરૂઆત ત્રીજી જુલાઈથી થશે અને 38 દિવસ સુધી આ યાત્રા ચાલશે. 9મી ઓગસ્ટના યાત્રાનું સમાપન થશે. ગયા વર્ષે પાંચ લાખ લોકોએ બાબા બર્ફાનીના દર્શન કર્યા હતા. સૂત્રોની વાત પર વિશ્વાસ કરીએ તો આ વર્ષે પણ આટલા જ શ્રદ્ધાળુઓ અમરનાથની પવિત્ર ગુફાના દર્શન કરવા પહોંચશે.
Reporter: admin