વડોદરા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા જાહેર સ્થળે કચરો ફેંકનારાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પાણીગેટ વિસ્તારમાં કચરો ફેંકતા ઝડપાયેલી એક દુકાન સામે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે.
પૂર્વ ઝોનના વોર્ડ નંબર 14 હેઠળ આવેલી પાણીગેટ વિસ્તારમાં ‘આશિષ ઝીનગાર લાઈનિંગ વર્ક્સ’ નામની દુકાન દ્વારા જાહેર સ્થળે કચરો ફેંકવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. સ્થળ પર પહોંચેલી વોર્ડ ટીમે તપાસ કરતા નિયમભંગ સાબિત થતાં દુકાનને તાત્કાલિક સીલ કરી દેવામાં આવી હતી.
આ ઉપરાંત દુકાનદાર સામે ₹5,000નો દંડ ફટકારી કાયદેસરની નોટિસ પણ આપવામાં આવી હતી. પાલિકાએ સ્પષ્ટ જણાવ્યું છે કે ભવિષ્યમાં આવી ગેરરીતિ ફરીથી સામે આવશે તો વધુ કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
વીએમસી દ્વારા નાગરિકો તથા વેપારીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ જાહેર સ્થળે કચરો ન ફેંકે અને કચરાપેટી અથવા ડોર-ટુ-ડોર કલેક્શન સેવાનો ઉપયોગ કરે, જેથી શહેરની સ્વચ્છતા જળવાઈ રહે.
સ્વચ્છતા અભિયાનને વધુ અસરકારક બનાવવા VMC હવે નિયમભંગ કરનારાઓ સામે વધુ કડક વલણ અપનાવી રહી છે, ત્યારે શહેરવાસીઓએ પણ સ્વચ્છ વડોદરા માટે પોતાની જવાબદારી નિભાવવાની અપીલ કરવામાં આવી છે.
Reporter: admin







